05 September, 2026 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજય દેવગન, શાહરુખ ખાન અને ટાઇગર શ્રોફ
વિમલ ઇલાયચીની જાહેરાતને લઈને ચાલી રહેલા વિવાદમાં મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ની તપાસ ચાલુ છે. આરોપ છે કે ઇલાયચીની જાહેરાતના બહાને પ્રતિબંધિત પાનમસાલા અને તમાકુ-ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન આપતી સરોગેટ ઍડ્વર્ટાઇઝિંગ કરવામાં આવી રહી છે.
આ મામલે FDAએ અજય દેવગન, શાહરુખ ખાન અને ટાઇગર શ્રોફને નોટિસ પાઠવી હતી. ત્રણેય કલાકારો પાસેથી પુરાવા માગવામાં આવ્યા હતા કે તેમણે જે વિમલ ઇલાયચીની જાહેરાત કરી છે એ સંપૂર્ણપણે અલગ પ્રોડક્ટ માટે છે અને એનો પ્રતિબંધિત વિમલ પાનમસાલા અથવા અન્ય તમાકુ-ઉત્પાદનોના પ્રમોશન સાથે કોઈ સંબંધ નથી.
રિપોર્ટ પ્રમાણે અજય અને ટાઇગરે લગભગ બે દિવસ પહેલાં પોતાનો લેખિત જવાબ FDAને સોંપી દીધો છે. જોકે શાહરુખ તરફથી હજુ સુધી કોઈ જવાબ પ્રાપ્ત થયો નથી. હવે FDA શાહરુખના જવાબની રાહ જોઈ રહ્યું છે. જો નક્કી કરેલી સમયમર્યાદામાં જવાબ નહીં મળે તો તેને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે છે અથવા કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે. જોકે આ વિશે FDA તરફથી હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી.