07 November, 2020 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: ટ્વીટર
વર્ષ 1986માં અભિનેત્રી માધુરી દીક્ષિત (Madhuri Dixit) અને શેખર સુમન (Shekhar Suman) સ્ટારર 'માનવ હત્યા' જેવી ફિલ્મોના મેકર અને ડિરેક્ટર સુદર્શન રતન (Sudarshan Rattan)નું નિધન થયું છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મમેકર કોરોના સામે લડી રહ્યા હતા અને ગુરુવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. શેખર સુમને શુક્રવારે રાત્રે ટ્વીટ દ્વારા રતનના નિધનની જાણકારી આપી.
શેખર સુમને ટ્વીટ કર્યું હતું કે, 'કોરોનાને કારણે મેં મારા મિત્રોમાંના એક સુદર્શન રતનને ખોઈ દીધા. તેમણે માધુરી દીક્ષિત સાથે મારી બીજી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. તેઓ ખરાબ દિવસો સામે હારી ગયા. ગરીબ હતા પણ ઈમાનદાર હતા. અમે કોન્ટેક્ટમાં હતા. અમે એકબીજાને કોલ કરતા હતા અને ઘણીવાર ઘરે મળતા હતા. તારી ઘણી યાદ આવશે મિત્ર. ભગવાન આત્માને શાંતિ આપે.'
સુદર્શન રતને 1996માં રિલીઝ થયેલી ફિલ્મ 'હાહાકાર'ની સ્ટોરી લખી હતી. તે ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસર હતા. ફિલ્મમાં સુધીર પાંડે, શફી ઈમાનદાર, નીલિમા અઝીમ અને જોની લીવર લીડ રોલમાં હતા.
આ સાથે જ કોરોના વાયરસને કારણે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક જણની વિદાય થઈ છે.