તીરંદાજીના સિદ્ધાંત (લાઇફ કા ફન્ડા)

09 March, 2021 02:05 PM IST  |  Mumbai | Heta Bhusha

તીરંદાજીના સિદ્ધાંત (લાઇફ કા ફન્ડા)

તીરંદાજીના સિદ્ધાંત (લાઇફ કા ફન્ડા)

એક તીરંદાજ હતો. અચૂક નિશાનેબાજ હોવાથી તેનું નિશાન ક્યારેય ન ચૂકે. એટલો અચૂક નિશાનેબાજ ગણાતો કે ભારે જોરથી ફૂંકતા પવન વચ્ચે પણ ઝાડની ટોચનું સૌથી ઊંચું પાંદડું વીંધી શકે. કોઈ પણ અઘરું નિશાન આપો, એનું અચૂક પાર જ પડે. તે કોઈ
સ્પર્ધા હાર્યો ન હતો અને અનેક ઇનામો જીત્યો હતો.
એક પ્રશંસક તેમને મળવા આવ્યો અને પૂછ્યું, ‘તમે ઊંચામાં ઊંચા ઝાડના પાંદડાને વીંધી શકો છો. શું તમે હું જે કહું એ ઝાડના મૂળને વીંધી શકો ખરા?’
તીરંદાજે કહ્યું, ‘જો નિશાન તાકવું જ છે અને તીર છોડવું જ છે તો પછી કોઈ મૂળને વીંધવા માટે શું કામ છોડવું જોઈએ ?’
પ્રશંસકે પૂછ્યું, ‘એટલે? આ તમે કેવી વાત કરો છો?’
તીરંદાજે કહ્યું, ‘ભાઈ, હું એક સફળ તીરંદાજ છું અને તીરંદાજીના દરેક નિયમો મેં મારા જીવનમાં વણી લીધા છે. જુઓ હું તમને સમજાવું.’
પ્રશંસક બોલ્યા, ‘હા સમજાવો.’
તીરંદાજે કહ્યું, ‘તિરંદાજીના અમુક મહત્ત્વના નિયમોમાંથી પહેલો નિયમ છે નીચા અને સહેલા નિશાન તાકવા નહીં એટલે હું ઝાડની ટોચ તરફ ઉપર નિશાન તાકું છું, મૂળ તરફ નીચે નહીં અને જીવનમાં પણ અઘરા અને ઊંચા ધ્યેય રાખું છું. તીરંદાજીનો બીજો નિયમ છે રમતની અધવચ્ચેથી ઊઠવું નહીં. હું જે કામ કરું છું એને પૂર્ણ કરું છું, ક્યારેય અધૂરું છોડતો નથી. તીરંદાજીનો ત્રીજો નિયમ છે કે છૂટેલું તીર પાછું ફરી શકતું નથી એટલે બરાબર બે વાર નિશાન તાકીને છોડવું. એમ જીવનમાં પણ જે કરો એ બરાબર બે વાર વિચારીને પછી જ નિર્ણય લઈને આગળ વધવું. તીરંદાજીનો ચોથો નિયમ છે જે નિશાન તાકવા ઇચ્છો એને બરાબર જુઓ, જાણો અને સમજો પછી જ અચૂક નિશાન તાકો. એવી જ રીતે જીવનમાં પણ જે મેળવવા ઇચ્છો એને બરાબર જુઓ, જાણો અને સમજો ત્યાર પછી એ મેળવવા માટે અચૂક મહેનત સાચી દિશામાં શરૂ કરો. તીરંદાજીનો પાંચમો નિયમ છે કે જે નિશાન તાકો એ વીંધીને જ અટકો અને એવી જ રીતે જીવનમાં જે મેળવવું હોય એ નક્કી કરો અને એ મેળવવા માટે સતત મહેનત કરો અને મેળવીને જ જંપો.’
પ્રશંસક આ વાત સાંભળી બોલી ઊઠ્યા, ‘અરે વાહ, આ તો દરેક માણસને જીવન જીતવામાં કામ આવે એવા સિદ્ધાંતો છે.’
તીરંદાજી શીખીએ કે ન શીખીએ, તીરંદાજીના આ સિદ્ધાંતો સમજીને અચૂક જીવનમાં ઉતારીએ.

heta bhushan columnists