સોશ્યલ મીડિયા ટ્રોલર્સ : સજેશન સ્વીકાર્ય અને આવકાર્ય, પણ બદતમીઝી કોઈ કાળે બરદાસ્ત કરવી નહીં

10 January, 2023 02:15 PM IST  |  Mumbai | Manoj Joshi

લોકશાહીનો દેશ છે અને સોશ્યલ મીડિયા ગામનો ચોરો છે એટલે એમાં કોઈના મોઢે ગળણી બાંધવા તો ન જઈ શકાય

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

બે દિવસ પહેલાં એકતા કપૂરે પહેરેલાં કપડાં માટે સોશ્યલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી. લોકશાહીનો દેશ છે અને સોશ્યલ મીડિયા ગામનો ચોરો છે એટલે એમાં કોઈના મોઢે ગળણી બાંધવા તો ન જઈ શકાય, પણ હા, સજેશન હોય તો એને સ્વીકારો, એને આવકારી જીવનમાં સામેલ કરો, પણ બદતમીઝીનો સ્વીકાર જરા પણ ન કરો. કહેવાનો મતલબ એવો પણ નથી કે ટ્રોલ કરનારાઓને તમે તેમની ભાષામાં જવાબ આપો. ના, તો પછી તમારા અને પેલા કાદવમાં પડ્યા રહેતા ભૂંડ વચ્ચે કોઈ ફરક રહેશે જ નહીં. બની બેઠેલી કેટલીક સેલિબ્રિટીઓ એવું કરે છે, પણ એવું કરવામાં તે જેન્યુઇન કહેવાય એવા પોતાના ચાહકોને ગુમાવવાનું કામ કરે છે એ તેમણે ભૂલવું ન જોઈએ.

બદતમીઝીનો જવાબ આપવો જ જોઈએ, પણ એ આપવામાં તમારી ખાનદાની અકબંધ રહેવી જોઈએ. જો તમે પોતે ખાનદાની ચૂકતા હો, જો તમે પોતે સંયમ છોડી બેસતા હો તો તમારો પક્ષ લઈને આવનારો વર્ગ પણ દિવસે-દિવસે તમારી એ બીજી બાજુ ઓળખતો થઈ જશે અને એ તમારું જ અહિત થશે. બહેતર છે કે ટ્રોલર્સની કાગારોળમાં પડવાને બદલે કે પછી એની સાથે પિગ-ફાઇટમાં ઊતરવાને બદલે સોશ્યલ મીડિયા પર આપવામાં આવેલી શ્રેષ્ઠ સિસ્ટમનો ઉપયોગ કરો અને એવી વ્યક્તિઓને બ્લૉક કરો.

આ પણ વાંચો : કોરોના કેર : જો બેદરકાર રહ્યા તો લખી રાખજો કે હેરાન થવાના દિવસો આવશે જ આવશે

નૅશનલ સેલિબ્રિટી શું કામ નૅશનલ સ્તરે છે એ વાત તેમના વર્તન પરથી સ્પષ્ટ થતું રહ્યું છે. જ્યારે પણ અને જ્યાં પણ સંયમ રાખવાનો હોય છે ત્યાં તે રાખે જ છે અને એ સંયમમાં ગર્વ પણ જળવાયેલું હોય છે. રોહિત શેટ્ટીને પણ ટ્રોલ કરવામાં કોઈ બાકી નથી રહ્યું, તો અતરંગી વસ્ત્રો માટે કુખ્યાત થયેલો રણવીર સિંહ પણ એમાંથી બાકાત નથી અને તેની વાઇફ દીપિકા પણ અંગપ્રદર્શનના નામે હડફેટે ચડી છે, પણ આ અને આ સિવાયના અન્ય કોઈએ ક્યારેય પિગ-ફાઇટનો આરંભ નથી કર્યો. પોતાનું સ્તર, પોતાની ખાનદાની અને પોતાનું ગાંભિર્ય છોડ્યું નથી અને એ જ કારણ છે કે ટ્રોલર્સ વધારે હવાતિયાં મારે છે.

આ પણ વાંચો :  યાદ રહે કે જો આસ્થાનો સ્વીકાર કરશો તો જ શ્રદ્ધા અકબંધ અને અડીખમ રહેશે

તમને ઉંગલી કરનારા ટ્રોલર્સને એક વખત ઓળખી લો, એક વખત જાણી લો કે એ કોણ છે. બની શકે કે એ અજાણી વ્યક્તિના સ્વાંગમાં તમારા જ હિતશત્રુઓ હોય. આવા હિતશત્રુ પાસે બીજું કોઈ કામ જ નથી, તમને અપસેટ કે ડિસ્ટર્બ કરવા સિવાય. તમે જ્યારે જવાબ આપો છો ત્યારે તમને એમ છે કે તમે સણસણતો જવાબ આપી દીધો, પણ ના, એવું નથી હોતું. એ નકટાઓને તો તમારા એ સણસણતા જવાબથી કોઈ ફરક નથી પડતો. એ તો તમારા જવાબ પર શરૂ થયેલી ચડસાચડસીનો આનંદ લે છે, વિકૃત આંનદ અને આ વિકૃત આનંદમાં વધારો કરવા થોડી વાર પછી વધારે સજ્જતા સાથે તે મેદાનમાં ફરી આવે છે. આવવા દો તેને, તમે તમારા સંયમ સાથે માનસિક સ્થિરતા અકબંધ રાખો અને વાત વધી જતી દેખાય તો આગળ કહ્યું એમ, પેલું બ્લૉક નામનું જે બટન છે એનો ઉપયોગ કરો.

સિમ્પલ, પણ પિગ-ફાઇટમાં ઊતરીને તમારી જાતને ભૂંડ સાથે જાતે જ સરખાવવાનું પાપ તો ન જ કરો.

columnists manoj joshi