03 January, 2020 07:07 PM IST | Mumbai Desk | Dr. ravi kothari
સવાલ : મારી ઉંમર ૪૪ વર્ષ છે અને મને વજન વધી જવાને કારણે ઉત્તેજનામાં તકલીફ પડે છે. ડૉક્ટર કહે છે કે મને કૉલેસ્ટરોલ ખૂબ વધી ગયું છે અને વજન પણ વધારે છે. તેમણે કૉલેસ્ટરોલ-લેવલ ઓછું કરવાની સલાહ આપી છે. મારા દોસ્તોનું કહેવું છે કે વધુ વાર સમાગમ કરવાથી વજન પણ ઘટે છે અને કૉલેસ્ટરોલ પણ. મારી વાઇફ પણ કહે છે કે સમાગમ પણ એક પ્રકારની કસરત જ છે અને એનાથી શરીરની ચરબી ઊતરે છે. શું અઠવાડિયામાં બે વારને બદલે રોજ સમાગમ કરવાથી ફાયદો થશે? જોકે ઉત્તેજનામાં આવતી તકલીફનું શું કરવાનું?
જવાબ : કૉલેસ્ટરોલ અને ડાયાબિટીઝ એ બન્ને લાઇફસ્ટાઇલ ડિસીઝ છે જેને સાચી જીવનશૈલીથી જ કન્ટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. તમારું કૉલેસ્ટરોલ વધવાનું કારણ શું છે એ શોધવું જોઈએ. ડાયાબિટીઝ, હાઇપોથાઇરૉઇડની બીમારી કે લિવર બરાબર કામ ન કરતું હોય તોય કૉલેસ્ટરોલ વધે છે. શરીરને જરાય એક્સરસાઇઝ ન આપતા હો અને ખાવાપીવામાં કાળજી રખાતી ન હોય તોય કૉલેસ્ટરોલ વધે છે. જો આ કારણ શોધીને એનો ઉકેલ ન લાવવામાં આવે તો તમે ગમેએટલી વાર સમાગમ કરશો, કૉલેસ્ટરોલ ઘટાડી નહીં શકો. કૉલેસ્ટરોલ ઓછું કરવા માટે નિયમિત કસરત જરૂરી છે. એ માટે રોજ ઓછામાં ઓછું પોણો કલાક ચાલવું જોઈએ. ઘી-તેલ, તળેલી વસ્તુઓ, ચીઝ, ક્રીમ, મેંદો અને મેંદામાંથી બનતી વાનગીઓ ખાવાનું ઓછું કરવું. આ બે કૉલેસ્ટરોલ ઘટાડવાના સચોટ અને ઉત્તમ ઉપાય છે. જો ડાયાબિટીઝ કન્ટ્રોલમાં ન હોય તો કૉલેસ્ટરોલનું પ્રમાણ વધી શકે છે. લિવર બરાબર ફંક્શન ન કરતું હોય તોય કૉલેસ્ટરોલ વધી શકે. વ્યક્તિ એક વખત સમાગમ કરે ત્યારે એમાં જેટલી કૅલરી બળે એટલી કૅલરી હૅન્ગિંગ ગાર્ડનમાં ત્રણ-ચાર રાઉન્ડ મારતાં બળતી હોય છે. આમ કૉલેસ્ટરોલ ઘટાડવા માટે એકને બદલે બે વાર સમાગમ કરવાથી બહુ ફરક પડી જાય એવી શક્યતા ઘણી ઓછી છે.
આયુર્વેદમાં લીલી હળદર અને ગૂગળ જેવા પદાર્થોનું સેવન કરવાનું કહેવાયું છે. આનું સેવન આંતરિક (કૉલેસ્ટરોલ અને ટ્રાઇગ્લિસરાઇડ) અને બાહ્ય ચરબી ઓછી કરવા માટે મદદરૂપ થાય છે.