જરા અમસ્તું પણ જોખમી છે

22 May, 2020 10:54 PM IST  |  | Rashmin Shah

જરા અમસ્તું પણ જોખમી છે

એ કોરોનાની જેમ એટોગ્રામના જ હોય છે, પણ એ એટોગ્રામ કેવી હાલત ઊભી કરી દે એ કોરોનાના ઉદાહરણ સાથે જોવાનું, સમજવાનું અને જીવનમાં ઉતારવાનું છે.

દરેક તબક્કે તમારી અંદર રહેલા હુંકારને શાંત કરવા અને જીવન સાથે જોડાયેલા સૌકોઈ મહત્ત્વના છે એ વાતને સમજવા માટે કે પછી હૈયામાં ધીરજ અને ધૈર્ય ઉમેરાય એની માટે તમને કેટલા એટોગ્રામના વાઇરસની આવશ્યકતા હશે? તમારા સિવાયના સૌકોઈ નકામા છે અને તમે સર્વગુણ સંપન્ન છો. મનમાં ઘર કરી ગયેલી આ વાતને દૂર કરવા માટે કેટલા એટોગ્રામ વાઇરસની તમારી જરૂરિયાત હશે? પૈસા પાછળ ભાગતા તમારા પગ અને ધનિક બનવાના સપના પાછળ ભાગતું તમારું મન ફરી એક વાર પરિવાર પાસે પાછું ગોઠવાય અને જેટલી ચાહના તમને મળે છે એટલી જ ચાહત તમે પરિવારને આપી શકો એ મુજબનું જીવન વાજબી લાગવું શરૂ થાય તો એની માટે તમારે કેટલા એટોગ્રામ વાઇરસને શરીરમાં સમાવવા પડશે?

સીધું ઉદાહરણ છે કોરોના. કોરોના વાઇરસનું વજન ૦.૮પ એટોગ્રામ એટલે કે ૦.૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૮પ ગ્રામ છે. જરા વિસ્તારથી સમજવું હોય તો સમજી લો. ૦.૮પ ગ્રામ વજનનો એક કણ લઈને એના ૧૦ લાખ ભાગ કરીને એમાંથી એક ટુકડો ફરીથી લેવાનો અને પછી એ એક ટુકડાના એક કરોડ ભાગ કરીએ એટલે જે એક ભાગ વધે એ ભાગનું જે વજન હોય એ વજન કોરોનાના એક વાઇરસનું વજન. ફરીથી યાદ કરવીએ તો ૦.૮પ એટોગ્રામ. આટલો સૂક્ષ્મ વાઇરસ જ્યારે માણસને સંક્રમિત કરી તેના શરીરમાં પ્રવેશે એટલે તરત જ રિપોર્ટ પૉઝિટિવ નથી આવતો. એના પ્રવેશ પછી માણસના શરીરમાં ઓછામાં ઓછી સંખ્યા સિત્તેર અરબ કે એની ઉપર પહોંચે ત્યારે કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવે. આ સિત્તેર અરબ કોરોના વાઇરસનું જો વજન કરવામાં આવે તો એ વજન થાય છે ૦.૦૦૦૦૦૦પ ગ્રામ. માઇન્ડ વેલ, એક ગ્રામ કે અડધો ગ્રામ પણ નહીં; ૦.૦૦૦૦૦૦પ ગ્રામ. વાત આગળ વધારતાં પહેલાં સ્પષ્ટતા સાથે એક નાનકડી ચોખવટ કે આ આંકડાઓ કોઈ કરિયાણાની દુકાનમાંથી નથી મળ્યા. આ આંકડાઓ ડિસ્ક્વરી ચેનલે રિલીઝ કરેલી કોરોના આધારિત એક ડૉક્યુમેન્ટ્રીમાં દર્શાવવામાં આવ્યા છે અને આ આંકડા જગતના શ્રેષ્ઠ સાયન્ટિસ્ટ અને વૅક્સિન એક્સપર્ટ્સે આપ્યા છે. ૦.૮પ એટોગ્રામ વજન ધરાવતાં કોરોના પર અત્યારે સુધીમાં સો અબજ હા, ૧૦૦ અબજ રૂપિયાનું સંશોધન થઈ ચૂક્યું છે અને એટલું આંધણ કર્યા પછી પણ હજી વિજ્ઞાન કોઈ રસ્તો શોધી નથી શકતું. દાવાઓ ભૂલી જજો અને પ્રતિદાવાઓની હરીફાઈમાં પણ ઊતરતા નહીં. હકીકત એક જ છે કે એક પણ દેશ કે એક પણ વૈજ્ઞાનિક કોરોનાનો કાચો પાપડ પણ ભાંગી નથી શક્યો.

ફરી વાત કરીએ કોરોનાની.

૦.૮પ એટોગ્રામ વજન ધરાવતા આ કોરોના વાઇરસના કારણે અત્યાર સુધીમાં અંદાજે એક કરોડ લોકો સંક્રમિત થયા છે. આ એક કરોડ લોકોના શરીરમાં રહેલા કોરોના વાઇરસને એકત્રિત કરીને જો એનું વજન કરવામાં આવે તો એ બધા કોરોના વાઇરસનું અંદાજે વજન થાય પ.પ ગ્રામ થાય. હા, આ અંદાજિત એટલા માટે કહેવાયું છે, કારણ કે જ્યારે ડૉક્યુમેન્ટ્રી બનાવવાનું કામ શરૂ થયું ત્યારે જગતમાં કોરોના પેશન્ટ્સની સંખ્યા ત્રીસ લાખની હતી અને એ ત્રીસ લાખ લોકોના શરીરમાં ૧.પ૬ ગ્રામ કોરોના વાઇરસ હોય એવું તારણ મૂકવામાં આવ્યું હતું, પણ હવે પેશન્ટ્સ વધીને એક કરોડ પર પહોંચી ગયા છે એટલે સ્વાભાવિક રીતે કોરોનાનું પણ વજન વધ્યું હશે અને એ વધીને પ.પ ગ્રામની આસપાસ પહોંચ્યું હશે.

આ સાડા પાંચ ગ્રામ વજનના કોરોના વાઇરસે આખી દુનિયા કબજે કરી લીધી છે. આ સાડાપાંચ ગ્રામ કોરોના વાઇરસના કારણે જગત આખાનું પંચોતેર હજાર અરબનું હા, ૭પ,૦૦૦ અબજનું નુકસાન થયું છે. સાડાપાંચ ગ્રામનું વજન ધરાવતા કોરોના વાઇરસના સમૂહના કારણે, ૦.૮પ એટોગ્રામનું વ્યક્તિગત વજન ધરાવતા કોરોના વાઇરસના કારણે. યાદ રાખજો, આ વજન એ સ્તરનું છે કે જેની તમને ખબર પણ નથી પડતી, સ્પર્શની સંવેદના હોવા છતાં પણ તમે એને અનુભવી નથી શકતા અને એમ છતાં પણ આટલા અમસ્તા કદવાળા વાઇરસે ધનોતપનોત કાઢી નાખ્યું છે જ્યારે આપણે, સામેવાળો સહન ન કરી શકીએ એવો અહમ રાખીને ફરતા હોઈએ છીએ. માણસે બગાડેલી પૃથ્વીને રિપેર કરવાનું કામ જો ૦.૮પ એટોગ્રામ વજનનો વાઇરસ કરી બતાવતો હોય તો કલ્પના કરો કે સ્વભાવને બગાડવાનું કામ કરનારા અહમને સુધારવા માટે તમને કેટલા એટોગ્રામના વાઇરસની જરૂર પડવી જોઈએ? જરા વિચાર કરો કે દરેક તબક્કે તમારી અંદર રહેલા હુંકારને શાંત કરવા અને જીવન સાથે જોડાયેલા સૌકોઈ મહત્ત્વના છે એ વાતને સમજવા માટે કે પછી હૈયામાં ધીરજ અને ધૈર્ય ઉમેરાય એની માટે તમને કેટલા એટોગ્રામના વાઇરસની આવશ્યકતા હશે? તમારા સિવાયના સૌકોઈ નકામા છે અને તમે સર્વગુણ સંપન્ન છો. મનમાં ઘર કરી ગયેલી આ વાતને દૂર કરવા માટે કેટલા એટોગ્રામ વાઇરસની તમારી જરૂરિયાત હશે? પૈસા પાછળ ભાગતા તમારા પગ અને ધનિક બનવાના સપના પાછળ ભાગતું તમારું મન ફરી એક વાર પરિવાર પાસે પાછું ગોઠવાય અને જેટલી ચાહના તમને મળે છે એટલી જ ચાહત તમે પરિવારને આપી શકો એ મુજબનું જીવન વાજબી લાગવું શરૂ થાય તો એની માટે તમારે કેટલા એટોગ્રામ વાઇરસને શરીરમાં સમાવવા પડશે? વિચારજો, બહુ જરૂરી છે.

જો કુદરત માત્ર સાડાપાંચ ગ્રામ વાઇરસથી પોતાનું સર્જન ફરી મૂળ સ્વરૂપમાં લાવી શકતી હોય તો જરા વિચારો, તમારે પણ કેટલી ઓછી મહેનત કરવાની જરૂર છે. વાત માત્ર માત્રાની નહીં, એ કરવાની ભાવનાની પણ છે અને માત્રામાં રહેલી ક્ષમતાની પણ છે. યાદ રહે, કોરોના તો હવે છે. બાકી અઢળક એટોગ્રામની સ્વભાવગત કુટેવ તમારી અંદર છે અને એને કાઢવાની કોશિશ તમે કરી નથી રહ્યા. હક માનો છો તમે એને અને અધિકાર માનો છો તમારા એ સ્વભાવને. જગત હંમેશાં ખરાબ રહ્યું છે અનેતમે તો રીઍક્શન આપો છો એવો તર્ક પણ તમારી જીભના ટેરવે સતત રહ્યા કરે છે, પણ ક્યારેય એ વિચાર્યું છે ખરું કે રીઍક્શન આપવાનું કામ કેમિકલ કરે, માણસ નહીં. સુધારો કરો. અન્યને તકલીફ પડતી હોય એમાં પણ અને અન્ય દ્વારા પડી રહેલી તકલીફનું રીઍક્શન આપવામાં પણ. યાદ રાખજો, દુર્ગુણ ક્યારેય ટન અને ક્વિન્ટલમાં નથી હોતા. ક્યારેય નહીં.

એ કોરોનાની જેમ એટોગ્રામના જ હોય છે, પણ એ એટોગ્રામ કેવી હાલત ઊભી કરી દે એ કોરોનાના ઉદાહરણ સાથે જોવાનું, સમજવાનું અને જીવનમાં ઉતારવાનું છે. ઉતારશો તો લાભ તમારો જ છે અને ધારો કે એ લાભ લેવાનું ટાળ્યું તો એટોગ્રામ જ્યારે મિલીગ્રામ અને ગ્રામમાં ફેરવાય છે ત્યારે કેવી પરિસ્થિતિ નિર્મિત થાય છે એ પણ હવે તમે જાણો છો.પસંદગી હવે તમારે કરવાની છે.

coronavirus covid19 Rashmin Shah columnists