એફડીઆઇ હોલ્ડ થતાં વાશીની એપીએમસી માર્કેટમાં દિવાળી

08 December, 2011 06:58 AM IST  | 

એફડીઆઇ હોલ્ડ થતાં વાશીની એપીએમસી માર્કેટમાં દિવાળી



 

(કાજલ ગોહિલ - વિલ્બેન)

નવી મુંબઈ, તા. ૮

મલ્ટિ-બૅ્રન્ડ રીટેલમાં ૫૧ ટકા એફડીઆઇ (ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ)ને છૂટ આપવાના કેન્દ્રીય કૅબિનેટના નિર્ણયને ગઈ કાલે કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠકમાં સ્થગિત જાહેર કર્યો હતો. આ મુદ્દાને લીધે સતત નવ દિવસ સુધી ઠપ રહેલી સંસદની કાર્યવાહી હવે રાબેતા મુજબ આગળ ચાલી શકશે. ફાઇનૅન્સ મિનિસ્ટર પ્રણવ મુખરજીએ ગઈ કાલે લોકસભામાં આ જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણય બાદ નવી મુંબઈ એપીએમસી (ઍિગ્રકલ્ચર પ્રોડ્યુસ માર્કે‍ટ કમિટી) માર્કેટમાં વેપારી અને માથાડી કામદારોએ ફટાકડા ફોડ્યા હતા.

સરકારે મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં ૫૧ ટકા એફડીઆઇને મુદ્દે લીધેલો નિર્ણય હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે. રાજ્યસભામાં આ જ ઘોષણા કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર આનંદ શર્મા દ્વારા કરવામાં આવી હતી. જોકે સરકારે સિંગલ-બ્રૅન્ડમાં સો ટકા એફડીઆઇનો નિર્ણય યથાવત્ રાખ્યો હતો. તેમના આ નિર્ણયથી વેપારી વર્ગમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. એપીએમસી માર્કેટના દાણાબંદરના ડિરેક્ટર જયેશ વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે સરકારના નિર્ણયથી એટલા બધા ખુશ છીએ કે માથાડી કામદાર યુનિયનના નરેન્દ્ર પાટીલ, તેમના સાથીઓ અને વેપારીઓએ જેવા આ સમાચાર મળ્યા એટલે તેમણે એપીએમસીમાં ફટાકડા ફોડ્યા હતા.’

આંદોલન ફળ્યું

રીટેલ એફડીઆઇના વિરોધમાં વિવિધ માર્કે‍ટના વેપારીઓ, ગુમાસ્તાઓ, દલાલભાઈઓ, ટ્રાન્સર્પોટરો અને માથાડી કામગારોએ રૅલી કાઢીને ભારત બંધ પાળ્યો અને એક દિવસના ઉપવાસ ક્ર્યા બાદ તેમને આજનો દિવસ જોવા મળ્યો છે એ વિશે ફામ (ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર)ના પ્રમુખ મોહન ગુરનાણીએ કહ્યું હતું કે ‘અમે સરકારના આ નિર્ણયને આવકારીએ છીએ તેમ જ જે પ્રધાનોએ રીટેલ એફડીઆઇ વિરુદ્ધની લડાઈમાં અમારો સાથ આપ્યો તેમનો આભાર માનીએ છીએ. સરકારને વિનંતીપૂર્વક એક જ વસ્તુ અમે કહેવા માગીશું કે આ એક અગત્યનો પ્રશ્ન છે તો એને વેપારીઓના માથે તલવારની જેમ લટકટી રાખવાની જગ્યાએ બને એટલો જલ્દી નિર્ણય લઈને હોલ્ડ-બૅક કરવાની જગ્યાએ રોલ-બૅક (કાયદો પાછો ખેંચવો) કર્યો હોત તો વધુ સારું થાત.’

હજી સાવચેતી જરૂરી

સરકાર પર પૂરો વિશ્વાસ ન રાખતાં થોડું સાવચેત રહેવાનું જણાવતાં ગ્રોમા (ગ્રેઇન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન)ના પ્રમુખ શરદ મારુએ કહ્યું હતું કે ‘હોલ્ડ કરવાની જગ્યાએ સરકારે રોલ-બૅક કર્યો હોત તો વેપારીઓના માથે કોઈ મુસીબતનાં વાદળો ન રહેત. આ રીતે કાયદો હાલ પૂરતો સસ્પેન્ડ કરવાનો મતલબ એમ છે કે સરકાર મરજી પડશે ત્યારે ફરી રીટેલમાં એફડીઆઇ લાગુ કરી શકે એમ છે એટલે આપણી ખુશી ટૂંક સમય પૂરતી જ છે. બધાં અસોસિએશનના લોકો અને વેપારીઓ મળીને આગળ કઈ રીતે આ એફડીઆઇ ઇન રીટેલની સમસ્યાને મૂળમાંથી કાઢવી એ માટેના માર્ગ શોધીશું.’