બજારમાં મર્યાદિત વધઘટની અપેક્ષા

29 October, 2012 06:24 AM IST  | 

બજારમાં મર્યાદિત વધઘટની અપેક્ષા



શૅરબજારનું ચલકચલાણું

સ્થાનિક અને વૈશ્વિક પૉઝિટિવ પરિબળોની ગેરહાજરીમાં ગયા સપ્તાહમાં બજાર રેન્જ-બાઉન્ડ રહી હતી. સરકાર તરફથી ઇકૉનૉમિક રિફૉમ્ર્સની નવી જાહેરાતો બંધ થઈ ગઈ છે. અગાઉ જે આર્થિક સુધારાની જાહેરાતો કરવામાં આવી હતી એના અમલીકરણ બાબતે હજી કોઈ જ પ્રગતિ થઈ નથી. સરકાર રાજકીય સમસ્યાઓમાં અટવાઈ ગઈ છે એટલે ઇકૉનૉમી પર વધુ ફોકસ નથી થઈ રહ્યું.

ગયા સપ્તાહમાં સેન્સેક્સમાં માત્ર ૭.૧૩ ટકાનો સુધારો અને નિફ્ટીમાં ૧૯.૯૫નો ઘટાડો થયો હતો. મુંબઈ શૅરબજારનું ટર્નઓવર ઘટીને ૮૪૧૮.૯૫ કરોડ રૂપિયા અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જનું ઘટીને ૪૦,૬૭૬.૪૧ કરોડ રૂપિયાનું થયું હતું.

એફઆઇઆઇ

હવે તો શૅરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું ઇન્વેસ્ટમેન્ટ પણ ઘટી રહ્યું છે. ગયા સપ્તાહમાં એફઆઇઆઇની ચોખ્ખી વેચવાલી ૭૫૦.૧૮ કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક સંસ્થાઓની તો અગાઉ પણ ચોખ્ખી વેચવાલી જ હતી. જો એફઆઇઆઇનું નવું રોકાણ નહીં આવે તો બજારમાં સુધારાની અપેક્ષા નથી.

આગામી ચાલ

બજારની આગામી ચાલનો આધાર અગાઉ જણાવ્યા મુજબ નાણાકીય નીતિ અને આયાત-નિકાસના આંકડા પર છે. બજાર સાથે સંકળાયેલા વર્ગનું માનવું છે કે રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં કોઈ જ ફેરફાર નહીં કરે. આયાત-નિકાસના આંકડાને કારણે વેપારખાધની સ્થિતિ જાણવા મળશે. એના પર અર્થતંત્રની વૃદ્ધિ અને નાણાકીય ખાધનો આધાર રહેશે.

માર્કેટવૅલ્યુ

ગયા સપ્તાહમાં ટૉપની ૧૦ કંપનીઓમાંથી પાંચ કંપનીઓનું બજારમૂલ્ય ૨૩,૦૦૯ કરોડ રૂપિયા ઘટ્યું હતું. આઇટીસીનું માર્કેટ કૅપિટલાઇઝેશન સૌથી વધુ ૯૦૭૪ કરોડ રૂપિયા ઘટીને ૨,૨૪,૬૫૦ કરોડ રૂપિયા થયું હતું. આ ઉપરાંત સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ અને ઓએનજીસીની માર્કેટવૅલ્યુ ઘટી હતી.

ટીસીએસનું માર્કેટ કૅપિટલાઇઝેશન સૌથી વધુ ૪૫૬૦ કરોડ રૂપિયા વધીને ૨,૫૭,૧૦૦ કરોડ રૂપિયા રહ્યું હતું. આ ઉપરાંત આઇસીઆઇસીઆઇ બૅન્ક, એનટીપીસી, એચડીએફસી બૅન્ક અને કોલ ઇન્ડિયાનું બજારમૂલ્ય ઘટ્યું હતું.