શૅરબજારમાં વિદેશી રોકાણ વધશે

04 October, 2012 06:07 AM IST  | 

શૅરબજારમાં વિદેશી રોકાણ વધશે



બિઝનેસ રિસર્ચ સંસ્થા સીએમઆઇઈના રિપોર્ટ મુજબ ચાલુ નાણાકીય વર્ષના પાછલા છ મહિનામાં એફઆઇઆઇ દ્વારા રોકાણપ્રવાહ વધુ મજબૂત થશે અને એ સમયગાળામાં ૧૧.૨૦ અબજ ડૉલર (આશરે ૫૯૦ અબજ રૂપિયા) જેટલું ઇન્વેસ્ટમેન્ટ આવવાનો અંદાજ છે. જે. પી. મૉર્ગન, મૉર્ગન સ્ટૅનલી, ડોઇશ બૅન્ક જેવા મોટા એફઆઇઆઇ લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ માટે ભારત પર વધુ ફોકસ કરી રહ્યા છે.

યુરોપની ડેટ ક્રાઇસિસ હળવી કરવા માટે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે સપ્ટેમ્બરમાં ફ્રેશ પૅકેજની જાહેરાત કરી એને કારણે ગ્લોબલ રિસ્ક એવરઝનમાં ઘટાડો થયો છે. સીએમઆઇઈનું માનવું છે કે ૨૦૧૨-’૧૩માં એફઆઇઆઇનું કુલ રોકાણ ૧૪.૭૦ અબજ ડૉલર (આશરે ૭૭૫ અબજ રૂપિયા) જેટલું થશે.

એફડીઆઇમાં વૃદ્ધિ


સીએમઆઇઈના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં એફડીઆઇનો ઇનફ્લો પણ વધારે રહેશે. કુલ એફડીઆઇ ૨૦.૮૦ અબજ ડૉલર (આશરે ૧૦૯૭ અબજ રૂપિયા) જેટલું રહેવાની અપેક્ષા છે. હવે પછીના ક્વૉર્ટર્સમાં કરન્ટ અકાઉન્ટ ડેફિસિટમાં થોડો ઘટાડો થશે. કૅપિટલ ફ્લોમાં વૃદ્ધિ થવાની ગણતરી છે.

એક્સટર્નલ કમર્શિયલ બોરોઇંગ્સમાં પણ વધારો થશે. ભારતમાં વ્યાજદર ઊંચા છે અને પિમના દેશોમાં વ્યાજના દર શૂન્યની નજીક છે. એને કારણે એક્સટર્નલ કમર્શિયલ બોરોઇંગ્સ દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં ૧૧.૪૦ અબજ ડૉલર (આશરે ૬૦૦ અબજ રૂપિયા) જેટલી રકમ ઊભી કરવામાં આવશે. ૨૦૧૧-’૧૨માં ૧૦.૩૦ અબજ ડૉલર (આશરે ૫૪૩ અબજ રૂપિયા) એકત્ર કરવામાં આવ્યા હતા.

એનઆરઆઇ ડિપોઝિટ્સ


અમેરિકા અને યુરોપમાં વ્યાજદર શૂન્યની આસપાસ છે. એને કારણે વિદેશોમાં રહેતા ભારતીયો એનઆરઆઇ ડિપોઝિટ્સમાં મોટા પાયે રોકાણ કરશે. ૨૦૧૧-’૧૨માં એનઆરઆઇ ડિપોઝિટ્સમાં અત્યાર સુધી સૌથી વધુ ૧૧.૯૦ અબજ ડૉલર (આશરે ૬૨૭.૫૦ અબજ રૂપિયા) જેટલું રોકાણ થયું હતું એમાં વધારો થશે. ૨૦૧૨-’૧૩માં એનઆરઆઇ ડિપોઝિટ્સમાં ૧૨.૪૦ અબજ ડૉલર (આશરે ૬૫૪ અબજ રૂપિયા)નું રોકાણ થશે.

એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, એફડીઆઇ = ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એનઆરઆઇ = નૉન રેસિડન્ટ ઇન્ડિયન, સીએમઆઇઇ = સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી