ચોમાસાની સ્થિતિ છે બજાર માટે નિર્ણાયક

06 August, 2012 05:54 AM IST  | 

ચોમાસાની સ્થિતિ છે બજાર માટે નિર્ણાયક

વરસાદ લંબાઈ જવાથી ચોમાસાની સ્થિતિ વધુ ને વધુ ગંભીર બની રહી છે. અત્યાર સુધી સામાન્ય કરતાં ૨૦ ટકા ઓછો વરસાદ થયો છે અને ચોમાસું હવે ક્યારે સક્રિય બનશે એ ચોક્કસ નથી. સરકારે પણ દુકાળની સ્થિતિનો સામનો કરવાના પગલાની વિચારણા કરવા માંડી છે. રાજ્ય સરકારો સાથે બેઠકો શરૂ કરી દીધી છે. બજારની આગામી ચાલ માટે ઇકૉનૉમિક રિફૉમ્ર્સને બદલે દુકાળની સ્થિતિ વધુ મહત્વની બની ગઈ છે, કારણ કે વરસાદની અછતની સીધી અસર અર્થતંત્રના વૃદ્ધિદર પર પડશે અને ઇકૉનૉમીનો ગ્રોથ ઘટશે એટલે કૉર્પોરેટ સેક્ટરને પણ અસર થશે. આ ઉપરાંત ફુગાવામાં પણ વૃદ્ધિ જોવા મળશે. એટલે હવે આગામી સમયમાં બજારની સ્થિતિ વૈશ્વિક પરિબળો, અન્ય સ્થાનિક પરિબળો કરતાં વરસાદની સ્થિતિ પર નિર્ભર છે.

ટૂંકા ગાળાની વાત કરીએ તો ગયા સપ્તાહમાં સેન્સેક્સમાં ૩૫૮.૭૪ની વૃદ્ધિ જોવા મળી હતી. શુક્રવારે વૈશ્વિક બજારોમાં સુધારો જોવા મળ્યો હતો તો પણ ભારતીય બજારો ઘટ્યાંં હતાં. એને કારણે આજે બજારમાં સુધારો જોવા મળી શકે છે, પરંતુ આ સુધારો ટકશે કે કેમ એ વધારે મહત્વનું છે.

વિદેશી રોકાણકારો

અત્યારે બજારમાં માત્ર એફઆઇઆઇનું જ રોકાણ આવી રહ્યું છે અને એ રોકાણકારો જ સક્રિય છે. રીટેલ ઇન્વેસ્ટરો તેમ જ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનું રોકાણ નથી આવી રહ્યું. જો દુકાળની અસર જોવા મળશે અને યુરોપિયન તેમ જ અન્ય એશિયન બજારમાં સુધારો જોવા મળશે તો એફઆઇઆઇનું ભારતમાં રોકાણ ઘટી શકે છે. જો આવી સ્થિતિ ઊભી થશે તો બજારમાં મોટો ઘટાડો આવી શકે છે.

કંપની પરિણામો

અત્યાર સુધી તો ફસ્ર્ટ ક્વૉર્ટરનાં પરિણામો બજારની અપેક્ષા મુજબ નથી રહ્યાં. મોટા ભાગની કંપનીઓના ચોખ્ખા નફાનો વૃદ્ધિદર ઘટ્યો છે.

આ ઉપરાંત ઑપરેટિંગ નફાનું માર્જિન પણ ઘટ્યું છે. આ સપ્તાહમાં જે અગ્રણી કંપનીઓનાં પરિણામ જાહેર થશે એમાં એસબીઆઇ, તાતા મોટર્સ, ભારતી ઍરટેલ, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર, ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન, ભારત પેટ્રોલિયમ વગેરેનો સમાવેશ છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં સપ્ટેમ્બર ૨૦૧૨માં પૂરા થનારા સેકન્ડ ક્વૉર્ટરનાં કૉર્પોરેટ પરિણામો નિરાશાજનક રહેવાની શક્યતા વધુ છે.

ચાલુ સપ્તાહમાં બજારમાં કન્સોલિડેશન જોવા મળશે. નિફ્ટી ૫૧૪૫થી ૫૩૦૦ પૉઇન્ટ્સની રેન્જમાં રહેવાની અપેક્ષા છે.

એસબીઆઇ = સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર