હવે આ મોટી કંપનીએ કરી છટણી… હજારોની સંખ્યામાં કર્મચારીઓનું લે-ઑફ

23 May, 2023 03:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની રિલાયન્સ જિયોમાર્ટે ૧,૦૦૦ કર્મચારીઓની છટણી કરી

પ્રતીકાત્મક તસવીર

મુકેશ અંબાણી (Mukesh Ambani)ની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની પેટાકંપની રિલાયન્સ જિયોમાર્ટ (Reliance Jio Mart)એ ૧૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ ઉપરાંત લગભગ 10,000 લોકોની નોકરીઓ દાવ પર છે. એક ન્યુઝ પોર્ટલના રિપોર્ટમાં આ સમાચાર સામે આવ્યા છે. ગત વર્ષથી કિંમતોને લઈને કંપનીઓ વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને કારણે રિલાયન્સ જિયો માર્ટનું ધ્યાન મહત્તમ નફો મેળવવા પર છે.

એક ન્યુઝ પોર્ટલના અનુસાર, JioMartના હોલસેલ ડિવિઝનમાં ૧૫,૦૦૦ લોકોમાંથી બે ચતુર્થાંશને આગામી થોડા અઠવાડિયામાં છૂટા કરવામાં આવી શકે છે. તે જ સમયે, કેટલાક કર્મચારીઓને પર્ફોમન્સ ઇમ્પ્રુવમેન્ટ પ્રક્રિયામાં મૂકવામાં આવ્યા છે. આ અહેવાલ અનુસાર, છટણી કરવામાં આવેલા મોટાભાગના કર્મચારીઓ સેલ્સ ટીમમાં હતા. જો કે આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

આ છટણી એવા સમયે થઈ છે જ્યારે રિલાયન્સ રિટેલે થોડા દિવસો પહેલા જ મેટ્રો કૅશ એન્ડ કૅરી (Metro Cash And Carry)હસ્તગત કરી છે. રિલાયન્સ રિટેલે મેટ્રો કૅશ એન્ડ કૅરીનો ઈન્ડિયા બિઝનેસ ૨,૮૫૦ કરોડ રુપિયામાં ખરીદ્યો છે, કંપનીને તેની મંજૂરી પણ મળી ગઈ છે. મેટ્રો કૅશ એન્ડ કૅરીની ભારતમાં ત્રણ મિલિયન ગ્રાહકોની પહોંચ છે. B2B સ્પેસમાં પ્રાઇસ વૉર શરૂ કરી છે, તે માર્જિન સુધારવા અને નુકસાન ઘટાડવા પણ વિચારી રહી છે. જો કે આ મામલે કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તમને જણાવી દઈએ કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની નજર FMCG સેક્ટર પર છે. કંપની આ સેક્ટર પર લાંબા સમયથી નજર રાખી રહી છે.

આ પણ વાંચો – હવે ગુજરાતમાં આઇસ્ક્રીમ બજારમાં રિલાયન્સ કરશે પ્રવેશ?

છટણી સિવાય, જીઓમાર્ટ ૧૫૦થી વધુ ફુલફિલ સેન્ટર બંધ કરવાની પણ યોજના બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે, રિલાયન્સ રિટેલે મેટ્રોને હસ્તગત કરી લીધી છે. જેમાં હાલમાં ૩,૫૦૦ કર્મચારીઓ છે. અહેવાલોનું માનીએ તો, રિલાયન્સ જિયો માર્ટ એક જ પ્રોફાઈલમાં એક કરતા વધુ કર્મચારીઓને રાખવા માંગતી નથી.

આ પણ વાંચો – ભારતમાં 5G આવી ગયું, પણ તમને ખરેખર જરૂર છે ખરી?

અમૃતસર, અમદાવાદ, બેંગલુરુ, દિલ્હી, ગાઝિયાબાદ, ગુંટુર, હૈદરાબાદ, હુબલી, ઈન્દોર, લખનૌ, કોલકાતા, મુંબઈ, નાસિક, સુરત, વિશાખાપટ્ટનમ અને વિજયવાડા જેવા શહેરોમાં મેટ્રો સ્ટોર્સનો ઉપયોગ કરીને - મેટ્રો કૅશ એન્ડ કૅરીના સંપાદન બાદ રિલાયન્સ રિટેલ બિઝનેસ કરશે. મેટ્રો કૅશ એન્ડ કૅરીનું નેટવર્ક B2B માર્કેટમાં રિલાયન્સને વધુ મજબૂત બનાવશે તેવી આશા છે.

business news reliance jio mukesh ambani