RBIએ વ્યાજદર ૫.૨૫ ટકા યથાવત્ રાખ્યા, FY27માં GDP ૬.૯ ટકા પર રહેવાનો અંદાજ

09 April, 2026 08:33 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

અર્થતંત્ર વિશે બોલતાં ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે અર્થતંત્ર હજી પણ મજબૂત સ્થિતિમાં છે

પ્રતીકાત્મક તસવીર

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વ હેઠળ ૬ સભ્યોની મૉનેટરી પૉલિસી કમિટી (MPC)ની પૅનલે સર્વાનુમતે રેપોરેટ ૫.૨૫ ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે દર-નિર્ધારણ સમિતિએ ન્યુટ્રલ વલણ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો અને સપ્લાય-ચેઇનમાં અવરોધથી ફુગાવા અને વૃદ્ધિ માટેનાં જોખમોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે

નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ની વૃદ્ધિનો અંદાજ ૬.૯ ટકા રાખવામાં આવ્યો છે જે નાણાકીય વર્ષ ૨૦૨૬માં ૭.૬ ટકા રહેવાની ધારણા છે. નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે ફુગાવાનો અંદાજ અગાઉના ૪.૨ ટકાથી વધારીને ૪.૬ ટકા કરવામાં આવ્યો છે.

અર્થતંત્ર વિશે બોલતાં ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે અર્થતંત્ર હજી પણ મજબૂત સ્થિતિમાં છે. જોકે તેમણે ચેતવણી આપી હતી કે પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે વૈશ્વિક વૃદ્ધિ મંદ પડી જશે અને બાહ્ય ડિમાન્ડ અને રેમિટન્સ પર અસર પડશે. ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૬માં ૭.૬ ટકાનો GDP વૃદ્ધિદર નોંધાવ્યો હતો. મુખ્ય ફુગાવો યથાવત્ છે, લક્ષ્ય કરતાં નીચે છે પરંતુ ફુગાવા પર બાહ્ય પ્રભાવો વધ્યા છે.

business news reserve bank of india goods and services tax finance news finance ministry