29 November, 2012 06:28 AM IST |
આ પદ્ધતિમાં એક ટકા કરતાં વધુ બજારહિસ્સો ધરાવતી તમામ બ્રૅન્ડ્સની વેઇટેડ ઍવરેજ કિંમતનો સમાવેશ થાય છે. જસ્ટિસ સિંઘવીએ આ કેસની વધુ સુનાવણી ૧૨ ડિસેમ્બર પર મુલતવી રાખતાં પહેલાં કહ્યું હતું કે ‘અમે નોટિફિકેશનની ચકાસણી કરીશું. આ વિશે કૅબિનેટ અથવા પ્રધાનોની કાઉન્સિલે નિર્ણય લેવો જોઈએ. કોર્ટ દરમ્યાનગીરી કરે એ માટે તેમણે શા માટે રાહ જોવી જોઈએ? જનતાને વાજબી દવા મળી રહે એ જ સરકારની પ્રાથમિક ચિંતા હોવી જોઈએ. જો સરકાર આમ કરવામાં નિષ્ફળ જશે તો કોર્ટ દરમ્યાનગીરી કરશે.’
ઑલ ઇન્ડિયા ડ્રગ ઍક્શન નેટવર્ક નામની એનજીઓના વરિષ્ઠ વકીલ કૉલિન ગોન્સાલ્વિસે દલીલ કરી હતી કે દવાના ભાવ પર અંકુશ હટાવી લેવાની આ હિલચાલ છે. આ દલીલ બાદ જસ્ટિસ સિંઘવીએ ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. નવી ભાવપદ્ધતિ સામે આરોગ્ય કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આનાથી સામાન્ય દવાઓના ભાવમાં વધારો થશે. દવાની કિંમતને ઉત્પાદનખર્ચ સાથે જોડવી જોઈએ અને આ માગણી સામે ફાર્માઉદ્યોગ વિરોધ કરી રહ્યો છે. નવી નીતિની અપેક્ષાએ ઑલ ઇન્ડિયા ડ્રગ ઍક્શન નૅટવર્કે સરકારની નવી ભાવનીતિ પર સ્ટે માગતી અને ડ્રગ પ્રાઇસ કન્ટ્રોલ ઑર્ડર ૧૯૯૫ પર આધારિત જૂની ખર્ચ આધારિત ભાવપદ્ધતિ જાળવી રાખવાની માગણી કરતી સુધારેલી અરજી કરી હતી. સરકાર ભાવઅંકુશથી દૂર રહી હતી અને બજાર આધારિત ભાવ રજૂ કરીને ભાવઅંકુશનો ડોળ કરી રહી હતી એવો દાવો આ એનજીઓએ કર્યો હતો.