ભારતમાં વિકાસની એક અબજ તક : મુકેશ અંબાણી
દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘નવભારતનું નિર્માણ કરવામાં દેશના તમામ વર્ગોએ યોગદાન આપ્યું છે. પ્રાઇવેટ સેક્ટરે પણ આમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભારત એ સમસ્યાઓનો નહીં પણ એક અબજ તક ધરાવતો દેશ છે.’
તેમણે સરકારને રાજકીય દબાવને આધીન થયા વગર નીતિવિષયક નિર્ણયો ઝડપથી લેવા કહ્યું હતું.ઉદ્યોગપતિ અદિ ગોદરેજે આ બાબતે કહ્યું હતું કે ‘જો આપણે કરપ્શન સામે લડવામાં સફળતા મેળવીશું તો ફૉરેન ઇન્વેસ્ટમેન્ટમાં પુષ્કળ વધારો થઈ શકે એમ છે અને જો આપણે કપ્શનને ઓછું પણ કરી શકીએ તો મને લાગે છે કે એની સીધી અસર દેશના જીડીપી રેટ પર થઈ શકે. મને નથી લાગતું કે અણ્ણા હઝારે જે લોકપાલ બિલની માગણી કરી રહ્યા છે એ બિલ પણ જો પાસ થાય તો કરપ્શન ઘટી જશે.’
જોકે ટોચના ઇન્ડસ્ટ્રિયલિસ્ટ રાહુલ બજાજે દેવામાં ડૂબેલી કિંગફિશર કંપનીને ઉગારવા સરકારી નીતિની કડક આલોચના કરતાં કહ્યું હતું કે ‘મુક્ત અર્થતંત્રમાં જે મરવા પડ્યું છે તેણે મરવું જ જોઈએ. હું ગર્વથી કહું છું કે હું પ્રાઇવેટ સેક્ટરનો છું અને મને એમાં કોઈ લૉજિક જણાતું નથી કે કામગારોના અથવા ગ્રાહકોના હિત ખાતર પણ પ્રાઇવેટ સેક્ટરની કંપનીને આ રીતે બચાવવી જોઈએ.’