30 April, 2019 05:36 PM IST | નવી દિલ્હી
જેટ સંકટના કારણે એવિએશન સેક્ટરમાં ઘટી સેલેરી
જેટ એરવેઝ ઠપ્પ થઈ જતા એવિએશન સેક્ટર પર ખૂબ જ ખરાબ અસર પડી છે. આ કંપનીના 22 હજાર જેટલા કર્મચારીઓ એક જ ઝાટકે બેરોજગાર થઈ ગયા છે. જેમાંથી 16 હજાર કર્મચારીઓ પે-રૉલ પર હતા જ્યારે 6 હજાર કર્મચારીઓ કરાર પર હતા. 22 હજાર કર્મચારીઓમાંથી 1300 આસપાસ પાયલટ અને 2000 કેબિન ક્રૂ મેંબર્સ છે. જેમના બેરોજગાર થવાનો ફાયદો બીજી તંપનીઓ ઉઠાવી રહી છે અને તેમને અડધા પગારમાં નોકરીની ઑફર કરી રહી છે. જેના કારણે એવિએશન સેક્ટરના પગાર ધોરણોમાં પણ ઘટાડો થયો છે.
થોડા દિવસો પહેલા, જેટ એરવેઝના કેટલાક કર્મચારીઓએ સ્પાઈસ જેટ જોઈન કર્યું હતું ત્યારે એવા અહેવાલો સામે આવ્યા હતા કે તેમને 50 ટકા ઓછો પગાર ઑફર કરવામાં આવ્યો છે. જેટના કર્મચારીઓનો પગાર સરેરાશ પગાર કરતા વધારે છે. એટલે બીજી એરલાઈન્સ તેમને પોતાના પ્રમાણે પગાર આપી રહી છે. જાણી જોઈને તેમની મજબૂરીનો ફાયદો નથી ઉઠાવવામાં આવી રહ્યો. ડિમાંડ કરતા સપ્લાઈ વધારે હોવાથી તેની અસર પગાર પર જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ જેટના કર્મચારીઓ માટે સારી તક, વિસ્તારા એરલાઈન્સમાં મળી શકે છે નોકરી
માઈકલ પેજ ઈંડિયાના નિર્દેશર મોહિત ભારતીએ પણ કહ્યું કે હાલની સ્થિતિમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ એવા છે કે જે અડધા વેતનમાં કામ કરવા માટે પણ તૈયાર છે. જો કે આ સ્થિતિ થોડા સમય માટે જ છે. આગળ જતા આ ક્ષેત્રમાં તેજી આવશે.