યુદ્ધનાં એંધાણ વચ્ચે એક જ દિવસમાં સોનામાં ૨૪૦૦ રૂપિયા વધ્યા

07 May, 2025 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ૨૪ કૅરૅટ સોનાનો ભાવ તોલાદીઠ ૨૪૦૦ રૂપિયા વધ્યો હતો. આ વધારા સાથે ગઈ કાલે તોલાદીઠ ભાવ ૯૯,૭૫૦ રૂપિયા થયો હતો.

પ્રતીકાત્મક તસવીર

૨૧ એપ્રિલે ૨૪ કૅરૅટ સોનાનો તોલાદીઠ ભાવ એક લાખ રૂપિયાને વટાવી ગયા બાદ છેલ્લા ઘણા દિવસથી ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો. જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે સોનાના ભાવ ત્રણ દિવસથી સતત વધી રહ્યા છે. ગઈ કાલે ૨૪ કૅરૅટ સોનાનો ભાવ તોલાદીઠ ૨૪૦૦ રૂપિયા વધ્યો હતો. આ વધારા સાથે ગઈ કાલે તોલાદીઠ ભાવ ૯૯,૭૫૦ રૂપિયા થયો હતો.

ઑલ ઇન્ડિયા સરાફા અસોસિએશનના જણાવ્યા મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની આયાત-નિર્યાતની નીતિને લીધે આર્થિક અનિશ્ચિતતા વધી છે એટલે ઝવેરીઓએ મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી છે એટલે સોનાના ભાવમાં વધારો થયો છે. સોનામાં ભાવ વધવાનું બીજું કારણ છે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ગમે ત્યારે યુદ્ધ થવાની સ્થિતિ. મુંબઈ અને દિલ્હી સહિત દેશભરમાં છેલ્લા ત્રણ દિવસથી ભાવમાં વધારો થઈ રહ્યો છે.

india pakistan gold silver price commodity market business news indian economy news