FSSAIએ ફૂડ-બિઝનેસની પરમિટને કાયમી બનાવી: હવે દર થોડાં વર્ષે રિન્યુઅલની જરૂર નહીં પડે

31 March, 2026 07:23 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

FSSAI દ્વારા સૂચિત નવા નિયમો હેઠળ ફૂડ-લાઇસન્સ અને રજિસ્ટ્રેશન હવે કાયમી ધોરણે માન્ય રહેશે

પ્રતીકાત્મક તસવીર

ખાદ્ય વ્યવસાયો માટે મોટી રાહત આપતા દેશના ફૂડ-રેગ્યુલેટર ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટૅન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ એના દ્વારા આપવામાં આવતાં લાઇસન્સ જીવનભર માન્ય રાખ્યાં છે. FSSAI દ્વારા સૂચિત નવા નિયમો હેઠળ ફૂડ-લાઇસન્સ અને રજિસ્ટ્રેશન હવે કાયમી ધોરણે માન્ય રહેશે, સિવાય કે કોઈ ઉલ્લંઘન માટે રદ કરવામાં આવે. આનો અર્થ એ થયો કે લાખો રેસ્ટોરાં, ખાણીપીણીનાં નાનાં સ્થળો અને વિક્રેતાઓને હવે દર થોડાં વર્ષે તેમનાં લાઇસન્સ રિન્યુ કરવાની જરૂર રહેશે નહીં. આ પગલું વાસ્તવિક ફૂડ સેફ્ટી-તપાસને કડક બનાવતી વખતે પાલનને સરળ બનાવવાના હેતુથી વ્યાપક સુધારાનો એક ભાગ છે.

આ નિર્ણયથી સૌથી વધુ ફાયદો શેરી-વિક્રેતાઓને થશે. જે લોકો પહેલાંથી જ શેરી-વિક્રેતા કાયદા હેઠળ નોંધાયેલા છે તેઓ હવે આપમેળે ખાદ્યસુરક્ષા નિયમો હેઠળ પણ નોંધાયેલા માનવામાં આવશે. એનાથી બહુવિધ રજિસ્ટ્રેશન અને ફીની જરૂરિયાત દૂર થશે. નિયમનકારે વ્યવસાયોને વર્ગીકૃત કરવાની રીતને પણ સરળ બનાવી છે. ૧.૫ કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા એકમોને ફક્ત મૂળભૂત રજિસ્ટ્રેશનની જરૂર પડશે, જ્યારે મોટા વ્યવસાયોને કદના આધારે રાજ્ય અથવા કેન્દ્રીય લાઇસન્સની જરૂર પડશે. નવી સિસ્ટમ પહેલી એપ્રિલથી અમલમાં આવશે.

નિયમો તોડશો તો કડક તપાસ

હવે સારા ટ્રેક-રેકૉર્ડવાળા બિઝનેસને ઓછાં નિરીક્ષણોનો સામનો કરવો પડશે, જ્યારે વારંવાર ઉલ્લંઘન કરનારાઓની વધુ નજીકથી તપાસ કરવામાં આવશે. FSSAIએ સ્પષ્ટ કર્યું છે કે ડેરી, માંસ અને પૅકેજ‌્ડ પાણી જેવાં ઉચ્ચ જોખમવાળાં ક્ષેત્રો માટે સ્વચ્છતા-ધોરણોમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. ફેરફારો પછી મોટા ભાગના ખાદ્ય વ્યવસાયો રાજ્ય સત્તાવાળાઓના કાર્યક્ષેત્ર હેઠળ આવતા હોવાથી રાજ્યો દેખરેખ અને અમલીકરણમાં મોટી ભૂમિકા ભજવશે. સરકારના આ પગલાથી નાના વ્યવસાયો અને વિક્રેતાઓ માટે સંદેશ સરળ છે કે ઓછાં લાઇસન્સ અને ઓછી મુશ્કેલી થશે, પણ જો નિયમો તોડવામાં આવશે તો કડક તપાસ હાથ ધરવામાં આવશે.

business news food news food and drug administration indian government india