ધનતેરસે સોના-ચાંદીમાં દમદાર ચમક- ૫૦,૦૦૦ કરોડની અપેક્ષા સામે ૮૫,૦૦૦ કરોડ રૂપિયાનું વેચાણ

20 October, 2025 07:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે દિવસમાં ભારતભરમાં ૫૦થી ૬૦ ટન દાગીનાનું થયું વેચાણ, ભાઈબીજ સુધી વેચાણ હજી વધુ સારું રહેવાની ઝવેરીઓને અપેક્ષા

પ્રતીકાત્મક તસવીર

સોના અને ચાંદીના ઊંચા ભાવ પછી પણ ધનતેરસના પર્વ પર શનિવાર-રવિવારના બે દિવસમાં આશરે ૫૦થી ૬૦ ટન ઝવેરાતનું સમગ્ર ભારતમાં વેચાણ થયું હતું. ઝવેરીઓને આ ધનતેરસે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના વેચાણની અપેક્ષા હતી. જોકે ગ્રાહકોના જોરદાર પ્રતિસાદને કારણે ફક્ત બે દિવસમાં ૮૫,૦૦૦ કરોડ રૂપિયાનું વેચાણ થતાં ઝવેરીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વેચાણ જોયા પછી દિવાળી અને ભાઈબીજના પાંચ દિવસના ઉત્સવમાં વેચાણ વધુ સારું થશે એવી ઝવેરીઓમાં અપેક્ષા છે. તેમને આ પાંચ દિવસમાં ઝવેરાતનું વેચાણ ૧૦૦થી ૧૨૦ ટન સુધી પહોંચવાની અપેક્ષા છે જેની નાણાકીય વૅલ્યુ એક લાખ કરોડ રૂપિયાથી ૧.૩૫ લાખ કરોડ રૂપિયાની રેન્જમાં રહી શકે છે.

૩૫થી ૪૦ ટકાનો વધારો
આ બાબતની માહિતી આપતાં ઑલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC)ના ચૅરમૅન રાજેશ રોકડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધનતેરસના બે દિવસમાં તમામ શ્રેણીના ઝવેરાતની ડિમાન્ડ મજબૂત રહી છે. ગ્રાહકોનો પ્રતિસાદ પણ શાનદાર રહ્યો છે. વૉલ્યુમની દૃષ્ટિએ વેચાણ ગયા વર્ષ જેટલું જ હતું, પરંતુ મૂલ્યની દૃષ્ટિએ બે દિવસમાં ૩૫થી ૪૦ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ગ્રાહકોએ આ સીઝનમાં ચાંદીને સ્પષ્ટ પસંદગી દર્શાવી હોવાથી ચાંદીનું વેચાણ લગભગ બમણું થઈ ગયું હતું. આ બે દિવસની ઘરાકી અમારી ધારણા બહારની રહી હતી. એ જોતાં અમને આશા છે કે દિવાળીથી લાભપાંચમ સુધી હજી વેચાણમાં વૃદ્ધિ જોવા મળશે.’

રીટેલ અર્થતંત્રને નવી ઊર્જા મળી
આ ધનતેરસે બજારોમાં વિક્રમી વેચાણ થયું હતું એમ જણાવતાં ઑલ ઇન્ડિયા જ્વેલર્સ ઍન્ડ ગોલ્ડસ્મિથ્સ ફેડરેશન (AIJGF)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિવાળીનો આ તહેવાર માત્ર આર્થિક પ્રવૃત્તિનું પ્રતીક જ નથી પરંતુ આસ્થા, સમૃદ્ધિ અને સ્વદેશી સંકલ્પની ઉજવણી પણ બની ગયો છે. એણે ભારતના રીટેલ અર્થતંત્રને નવી ઊર્જા આપી છે.’

business news gold silver price commodity market diwali festivals mumbai mumbai news indian economy