02 April, 2020 04:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એલઆઈસી
એલઆઇસી ઑફ ઇન્ડિયાએ કોરોના વાઇરસ સામેની લડતમાં સરકારને સાથ આપવાના ભાગરૂપે ૧૦૫ કરોડ રૂપિયાનું ડોનેશન પીએમ કૅર્સ ફન્ડમાં જમા કરાવ્યું છે. આમાંથી પાંચ કરોડ રૂપિયા એલઆઇસીના ગોલ્ડન જ્યુબિલી ફન્ડમાંથી આપવામાં આવ્યા છે.
એલઆઇસીના ચૅરમૅન એમ. આર. કુમારે કહ્યું કે વિશ્વમાં ફેલાયેલી આ મહાબીમારી સામે ભારત પણ ઝઝૂમી રહ્યું છે, પણ એલઆઇસી દેશ અને દેશની જનતા પ્રત્યે અને તેમના કલ્યાણ માટે કટિબદ્ધ છે. અમારો ઉદ્દેશ્ય ‘યોગક્ષેમ વહામ્યહમ’ છે એટલે કે તમારું કલ્યાણ એ અમારી જવાબદારી છે અને અમે અમારા ઉદ્દેશને વળગી રહ્યા છે. દેશની જનતાના સુરક્ષાના ભાગરૂપે અમે ભારત સરકારનાં દરેક પગલાંમાં તેમની સાથે છીએ.
એલઆઈસી ઓફ ઈન્ડિયા એ એક જાહેર ક્ષેત્રની જીવન વીમા કંપની છે અને એની સ્થાપના ૧૯૫૬માં રાષ્ટ્રીય હિતમાં ૨૪૫ ખાનગી વીમા કંપનીઓના રાષ્ટ્રીયકરણ પછી થઈ હતી. મુંબઈમાં મુખ્યાલય ધરાવતી એલઆઈસી દેશભરમાં ૪૦૦૦થી વધુ ઑફિસોનું નેટવર્ક ધરાવે છે. એલઆઈસી ભારતની સૌથી મોટી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે. તેના થકી ૨૯ કરોડ પૉલિસીઓ લેવાઈ છે અને તેનો અસેટ બૅઝ ૩૧ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. તેનો માર્કેટ શેર ૭૦ ટકાથી વધુ છે.