05 January, 2021 06:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પાર્લામેન્ટ
સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA)એ જાન્યુઆરીથી બજેટ સત્રની ભલામણ કરી છે. આ અંતર્ગત ભાગ 1માં 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી અને ભાગ બેમાં 8 માર્ચથી 8 એપ્રિલ સુધી બજેટ સત્રની ભલામણ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીસીપીએની ભલામણ મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 29 જાન્યુઆરીએ સંસદના બન્ને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. તે અનુસાર 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. સંસદના બજેટ સત્ર દરમિયાન બધા કોવિડથી સંબંધિત તમામ પ્રોટોકૉલનું પાલન કરવામાં આવશે. બન્ને ગૃહોની કાર્યવાહી 4-4 કલાક ચાલશે.
નોંધપાત્ર વાત એ છે કે કોરોનાના વધતા જતા કેસોને કારણે આ વખતે સંસદનું શિયાળુ સત્ર બોલાવવામાં આવ્યું નથી. સરકારે જાહેરાત કરી હતી કે કોરોનાના વધતા જતા કેસોને કારણે આ વખતે સંસદનું વિન્ટર સત્ર યોજવામાં આવશે નહીં. સરકાર હવે સંસદના બજેટ સત્રને સીધા બોલાવશે.
કેન્દ્રીય સંસદીય પ્રધાન પ્રહ્લાદ જોશીએ છેલ્લા દિવસમાં લોકસભામાં કૉન્ગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીની એક ચિઠ્ઠીનો જવાબ આપ્યો હતો, જેમાં અધીર રંજન તરફથી એક સત્રની માંગ કરવામાં આવી હતી. અધીર રંજને વિવાદિત નવા કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવાની માંગ કરી હતી. આ પત્રના જવાબમાં પ્રહ્લાદ જોશીએ જવાબ આપ્યો હતો કે કોરોના સંકટના કારણે આ વખતે મૉનસૂન સત્ર પણ સપ્ટેમ્બરમાં યોજાવાનું હતું, જેમાં નોંધપાત્ર કાળજી લેવામાં આવી હતી. કોરોના સંકટને કારણે શિયાળાની ઋતુ મહત્વપૂર્ણ છે. અમને આશા છે કે જલદીથી કોરોનાની વેક્સિન મળવાની આશા છે. તેમણે તમામ નેતાઓ સાથે ચર્ચા કરી હતી અને બધા કોવિડ-19ના કારણે સત્ર નહીં બોલાવવા સર્વસંમતિથી સહેમત થયા હતા.