12 February, 2020 12:46 PM IST | New Delhi
કરન્સી
નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ઑઈલ ઍન્ડ નૅચરલ ગૅસ કંપની-ઓએનજીસી, ઇન્ડિયન ઑઈલ કૉર્પોરેશન-આઇઓસી અને એનટીપીસી જાહેર ક્ષેત્રની ત્રણ સૌથી વધુ નફો કરતી કંપની હતી તો બીએસએનએલ, એમટીએનએલ અને ઍર ઈન્ડિયા જેવી ત્રણ કંપનીએ સતત ત્રીજે વરસે સૌથી વધુ ખોટ કરી હોવાનું લોકસભામાં સોમવારે રજૂ કરવામાં આવેલા સર્વેક્ષણનાં તારણોમાં જણાવવામાં આવ્યું હતું.
જાહેર ક્ષેત્રની તમામ કંપનીઓના વાર્ષિક આર્થિક દેખાવ પર પ્રકાશ પાડતા ધ પબ્લિક ઍન્ટરપ્રાઇસિસ સર્વે ૨૦૧૮-૧૯માં જણાવ્યાનુસાર એ વરસ દરમ્યાન નુકસાન કરનારી ૭૦ સીપીએસઈએ કરેલા કુલ નુકસાનમાં ટોચની ૧૦ કંપનીનો હિસ્સો ૯૪.૦૪ ટકા જેટલો હતો. નફો કરનારી સીપીએસઇ કંપનીઓએ કરેલા કુલ નફામાં ઓએનજીસી, આઇઓસી અને એનટીપીસીનું યોગદાન અનુક્રમે ૧૫.૩, ૯.૬૮ અને ૬.૭૩ ટકા રહ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન સીપીએસઇ કંપનીઓની કુલ આવકનો આંક વર્ષ ૨૦૧૭-૧૮ના ૨૦,૩૨,૦૦૧ કરોડ રૂપિયાની સરખામણીએ ૨૪,૪૦,૭૪૮ કરોડ રૂપિયા રહ્યો હતો જે આવકમાં ૨૦.૧૨ ટકાનો વધારો સૂચવે છે.