અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ નાદાર જાહેર થઈ

10 May, 2019 09:34 AM IST  |  મુંબઈ

અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ નાદાર જાહેર થઈ

અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ સત્તાવાર રીતે ગુરુવારે નાદાર જાહેર કરવામાં આવી હતી. નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે નાદારી માટેની એની અરજીને સ્વીકારી લીધી હતી.

૫૦,૦૦૦ કરોડ રૂપિયાનું બૅન્કોનું દેવું ધરાવતી આ કંપની સત્તાવાર રીતે નાદાર જાહેર થયેલી અનિલ અંબાણી ગ્રુપની પ્રથમ કંપની છે. ગુરુવારે ટ્રિબ્યુનલે એના ર્બોડ ઑફ ડિરેક્ટર્સનું સુપરસેશન કર્યું હતું અને કંપની ચલાવવા માટે નવા રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણૂક કરી હતી. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના વડપણ હેઠળના ૩૧ બૅન્કોના કન્સોર્ટિયમને કમિટી ઑફ ક્રેડિટર્સની નિમણૂક કરવાની પણ ટ્રિબ્યુનલે પરવાનગી આપી હતી.

ગયા મહિને અનિલ અંબાણી જેલ જતાં જતાં બચી ગયા હતા. રિલાયન્સ કમ્યુનિકેશન્સનું કામકાજ છેલ્લાં બે વર્ષોથી બંધ હતું. તેણે પોતાને મળેલા ટેલિકૉમના સ્પેક્ટ્રમનું રિલાયન્સ જિયોને વેચાણ કરીને નાદારીથી બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં મંજૂરી મળવામાં કાનૂની અને સરકારી વિલંબ થયો. ગયા મહિને મુકેશ અંબાણીએ અનિલ અંબાણીને એરિકસન કંપનીને ચૂકવવા માટેના ૪૮૦ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી આપી તેને પગલે અનિલ અંબાણી અદાલતના અનાદરના ગુનાથી બચી ગયા અને તેમને જેલ થતાં રહી ગઈ.

એરિકસન કંપનીએ સપ્ટેમ્બર, ૨૦૧૭માં રિલાયન્સ કમ્યુનિકેશન્સ સામે ટ્રિબ્યુનલમાં ધા નાખી હતી. તેણે ૧૫૦૦ કરોડ રૂપિયા લેવાના નીકળતા હતા. આખરે તેણે ૫૫૦ કરોડમાં પતાવટ કરી હતી. ચાઇના ડેવલપમેન્ટ બૅન્કની સાથે પણ ૧ અબજ ડૉલરના દેવા સંબંધે પતાવટ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ અમેરિકા-ચીનને કારણે મુકેશ અંબાણીને 70 હજાર કરોડનું નુક્સાન

હવે કમિટી ઑફ ક્રેડિટર્સે નવા રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણૂકને મંજૂરી આપવાની રહેશે. આ પ્રોફેશનલે ૩૦મી મે સુધીમાં પ્રોગ્રેસ રિપોર્ટ આપવાનો રહેશે. હવે પછીની સુનાવણી ૩૦મી મેના રોજ ટ્રિબ્યુનલ સમક્ષ થશે.

anil ambani reliance