08 January, 2020 12:57 PM IST | New Delhi
અનિલ અંબાણી
સુપ્રીમ કોર્ટ તરફથી ઉદ્યોગપતિ અનિલ અંબાણીને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સને ૧૦૪ કરોડ રૂપિયા પરત આપવાનો આદેશ આપ્યો છે.
ન્યાયાધીશ રોહિન્ટન નરીમનની અધ્યક્ષતાવાળી બે જજોની બેન્ચે કેન્દ્ર સરકારની અરજીને ફગાવી દીધી હતી. આ અરજી પૈસા પરત આપવાના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી.
આરકૉમની આ રકમ સરકારની પાસે બૅન્ક ગૅરન્ટી તરીકે જમા છે. આ કિસ્સામાં ટેલિકૉમ ડિસપ્યુટ્સ સેટલમેન્ટ ઍન્ડ અપેલેટ ટ્રિબ્યુનલ (ટીડીએસએટી)એ ૨૦૧૮ની ૨૧ ડિસેમ્બરે અનિલ અંબાણીની આરકૉમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ત્યાર બાદ ટીડીએસએટીએ કહ્યું હતું કે આરકૉમની ૯૦૮ કરોડ રૂપિયાની બૅન્ક ગૅરન્ટીમાંથી સરકાર સ્પેક્ટ્રમ ચાર્જના નીકળતા ૭૭૪ કરોડ રૂપિયા કાપીને બાકીના ૧૦૪ કરોડ રૂપિયા આરકૉમ કંપનીને પરત કરે. આ નિર્ણયને સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.