23 February, 2019 09:25 AM IST |
સુગર
દેશમાં ખાંડના વધતા માલભરાવાને પગલે મિલોની નાણાકીય સ્થિતિ કથળી રહી છે. આવી સ્થિતિમાં દેશની શુગર મિલોએ સરકાર પાસે નિકાસ પર સબસિડી અથવા તો મિલોને નાણાકીય સહાય આપવાની માગણી કરી છે.
ઇન્ડિયન શુગર મિલ અસોસિએશનના ડિરેક્ટર જનરલ અબિનાશ વર્માએ જણાવ્યું હતું કે ‘સરકારે કુલ ૫૦ લાખ ટન ખાંડની નિકાસ માટેનો ક્વોટા ફાળવ્યો છે, પરંતુ અત્યાર સુધીમાં મિલોએ માત્ર ૧૫ લાખ ટનના કરારો કર્યા છે. સરકાર દ્વારા શુગર મિલોને નાણાકીય સહાય અથવા તો સબસિડી આપવામાં આવે તો જ મિલો નિકાસ કરી શકે એમ છે, એ સિવાય નિકાસ ઑર્ડરો પૂરા કરવા શક્ય નથી. સરકારે દરેક મિલોને નિકાસ-ક્વોટા ફાળવી દીધો છે.’
વર્માએ વધુમાં કહ્યું હતું કે ‘સરકાર દ્વારા લોન આપવામાં વાર લાગશે એ સમજી શકાય એમ છે, પરંતુ કેટલીક મિલો વર્તમાન વાતાવરણમાં નિકાસ કરી શકે એમ જ નથી.’
તેમણે કહ્યું હતું કે ‘દેશની ૨૫૬ શુગર મિલોએ વિસ્તરણ અને ઇથેનૉલની ઉત્પાદનક્ષમતામાં વધારો કરવા માટે લોન લેવા અરજી કરી છે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર ૧૧૪ પ્રોજેક્ટને સબસિડી આધારિત લોન મંજૂર કરી છે. જો સરકાર ઝડપથી લોન મંજૂરી કરે તો પણ મિલોને રાહત થાય એમ છે.’