22 March, 2019 11:08 AM IST |
સેબી
સેબીએ ખેડૂતો અને ખેડૂત સંઘો માટે એક નિધિની રચના કરવાનું કૃષિ કૉમોડિટી ડેરિવેટિવ્ઝનું કામકાજ કરતાં એક્સચેન્જોને જણાવ્યું છે, જેમાં એક્સચેન્જીસે જે રેગ્યુલેટરી ફી જતી કરી છે, એને જમા કરવાની રહેશે.
એ ઉપરાંત સેબીએ એ નિધિના વપરાશ માટેના એક્શન પ્લાન અંગેના માર્ગદર્શક સિદ્ધાંતો પણ જાહેર કર્યા છે.
ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં નિયામકે ટર્નઓવરના સ્લેબ રેટ્સ પ્રમાણે ચાર્જીસ લાદવાને બદલે એક્સચેન્જદીઠ એક લાખ રૂપિયાની નોમિનલ ફી ચાર્જ કરવાનું નક્કી કર્યું હતું અને એ ફી જતી કરી એને એક ફંડમાં જમા કરવાનું સૂચન કર્યું હતું.
સેબીએ કહ્યું છે કે ઍગ્રી-કૉમોડિટીના ડેરિવેટિવ્ઝનું કામકાજ કરતાં એક્સચેન્જીસે ખેડૂતો અને ખેડૂત સંઘો (ફાર્મર્સ પ્રોડ્યુસર ઑર્ગેનાઇઝેશન્સ - FPO)ના લાભ માટે એક અલગ ફંડની રચના કરી એમાં જતી કરવામાં આવેલી ફી જમા કરવી. કોઈ પણ વર્ષની જતી કરવામાં આવેલી ફી એના પછીના વર્ષ દરમ્યાન પૂરી વાપરવાની રહેશે, જેનો ઍક્શન પ્લાન એક્સચેન્જોએ ઘડવો પડશે.
આવો પ્લાન જે વર્ષમાં ફીનો વપરાશ કરવાનો હોય એની ૧૦મી એપ્રિલ સુધીમાં તૈયાર કરવાનો રહેશે
એક્સચેન્જીસે સેબીને જાણ કરીને તેમના ઍક્શન પ્લાનની વિગતો તેમની વેબસાઇટ્સ પર પ્રસારિત કરવાની રહેશે.
આ નિધિને અન્ય કોઈ પણ ફંડ જેવા કે ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ, ઇન્વેસ્ટર સર્વિસિસ ફંડ અને કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ સાથે ક્લબ ન કરવું જોઈએ, એમ સેબીએ કહ્યું છે.
આ પણ વાંચો : અમેરિકી ફેડે 2019માં ઇન્ટરેસ્ટ રેટ નહીં વધવાનો સંકેત આપતાં સોનું ઊછળ્યું
વેરહાઉસિંગ ચાર્જીસની માફી કે તેની સબસિડી, ખેડૂતો કે ખેડૂત સંઘોને એક્સચેન્જના પ્લૅટફૉર્મ પર ગૂણીનો ખર્ચ ભરપાઈ કરવો, ખેડૂતોને બ્રોકર ફીમાં સબસિડી આપવા જેવી બાબતોનો વિચાર એક્શન પ્લાન તૈયાર કરતી વખતે કરવો જોઈએ, એમ સેબીએ કહ્યું છે.