લૉકડાઉનમાં લોકોએ હાથ ઉપર રોકડ રાખવાનું પસંદ કર્યું

03 June, 2020 07:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉકડાઉનમાં લોકોએ હાથ ઉપર રોકડ રાખવાનું પસંદ કર્યું

પ્રતીકાત્મક તસવીર

એપ્રિલ મહિનામાં દેશમાં બૅન્ક થકી ઉદ્યોગોને મળતું ધિરાણ ૧.૭ ટકા ઘટ્યું હતું અને સર્વિસ સેક્ટરમાં તેમાં ૧૧.૨ ટકાનો ઘટાડો જોવા મળે છે. માર્ચની તા. ૨૫થી દેશભરમાં માત્ર આવશ્યક ચીજોનાં વેચાણ સિવાય દરેક આર્થિક પ્રવૃત્તિ બંધ થઈ ગઈ હોય ત્યારે ધિરાણ ઘટે એ સ્વાભાવિક છે. જો કે વધારે ધ્યાન ખેંચે એવી બાબત એ  છે કે લોકો હાથ ઉપર રોકડ રાખી રહ્યા છે અથવા તો કરકસર કરી રહ્યા છે જેથી આવનારા આકસ્મિક સમયમાં તેનો ઉપયોગ થઈ શકે.

ભૂતકાળના રિઝર્વ બૅન્કના આંકડા દર્શાવે છે કે બૅન્કએ માર્ચના છેલ્લા પખવાડિયામાં કરેલું ધિરાણ એપ્રિલના પ્રથમ પખવાડિયામાં પરત આવી જાય છે. તા. ૨૦ માર્ચના પૂર્ણ થતાં પખવાડિયામાં બૅન્કોએ વધારાનું ૨.૬૫ લાખ કરોડ રૂપિયાનું ધિરાણ કર્યું હતું. આની સામે તા. ૮ મે સુધીમાં માત્ર ૧.૧૮ લાખ કરોડ રૂપિયાનું બાકી આગળ ધિરાણ ઘટ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં આ સમયમાં પરત આવેલી રકમ ૧.૪૬ કરોડ રૂપિયા હતી અને વર્ષ ૨૦૧૫-૧૬માં ૨.૭૫ લાખ કરોડ રૂપિયા જેટલી ઊંચી હતી. આ દર્શાવે છે કે પરત આવી રહેલી રકમનું પ્રમાણ ઓછું છે એટલે ધિરાણ મેળવનાર તેને જે ક્રેડિટ લિમિટ મળી છે તેનો લૉકડાઉનમાં પૂર્ણ ઉપયોગ કરી રહ્યો છે. એવું પણ બની શકે કે તેનો ઉપયોગ ખરીદીમાં થયો હોય, ઉદ્યોગોએ પગાર કરવામાં કે બાકી દેવું ચૂકવવામાં કર્યો હોય. અર્થતંત્ર માટે આ નિશાની સારી છે.

એવી જ રીતે હાથ ઉપર રોકડ પણ વધી રહી છે. તા. ૩૧ માર્ચની સામે તા. ૮ મેના રોજ લોકોના હાથમાં ચલણ ૫.૩ ટકા વધી ૧,૨૪,૩૧૬ કરોડ રૂપિયા હતું જે આગલા વર્ષે આ જ દિવસે ૬૫,૫૫૧ કરોડ રૂપિયા જોવા મળ્યું હતું. જો કે હાથ ઉપર રોકડ હોવાથી જ ખરીદી વધી છે કે વપરાશ વધ્યો હોય એવું તારણ કાઢી શકાય નહીં, કારણ કે લૉકડાઉનના સમયમાં માત્ર આવશ્યક ચીજો – અનાજ, ખાદ્યતેલ, દૂધ, ફળ, શાકભાજી, દવાઓ જ બજારમાં વેચવી શક્ય હતી. અન્ય દરેક ચીજોની દુકાનો ફરજિયાત બંધ હોવાથી ગ્રાહકોએ ખરીદી કરી હોય તેવી શક્યતા ઘણી ઓછી છે.

coronavirus lockdown business news