10 January, 2020 02:15 PM IST | Mumbai
એસબીઆઈ
નવા હાઉસિંગ પ્રોજેક્ટમાં તમે ફ્લૅટ લખાવ્યો હોય અને કોઈ કારણથી પ્રોજેક્ટ ઘોંચમાં પડે તો તમે લીધેલી લોનનો એક રૂપિયો પણ તમારે ભરવો નહીં પડે. છેને ખુશખબર!
અત્યારે દેશનાં ઘણાં શહેરોમાં એવા સેંકડો પ્રોજેક્ટ્સ અટકેલા પડ્યા છે અને એમાં ફ્લૅટ લખાવનારા હજારો લોકો લોનના હપ્તા ભરી-ભરીને ઊના-ઊના નિસાસા નાખે છે. નો મોર. હવે પછી નવા હાઉસિંગ પ્રોજેક્ટ કોઈ કારણથી ઘોંચમાં પડશે તો ફ્લૅટ લખાવનારા લોકોએ લોનનો એક રૂપિયો પણ ચૂકવવો નહીં પડે.
સ્ટેટ બૅન્કે એક નવી યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો સાર એટલો જ કે કોઈ કારણથી બિલ્ડર તમને આપેલા વાયદા મુજબ પ્રોજેક્ટ પૂરો ન કરી શકે અથવા કોઈ કારણથી પ્રોજેક્ટ અટકે તો સ્ટેટ બૅન્કની લોન લેનારા લોકોએ એક રૂપિયો પણ વધુ ચૂકવવો નહીં પડે.
સ્ટેટ બૅન્કના ચૅરમૅન રજનીશ કુમારે મિડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે હવે પછી કોઈ હાઉસિંગ પ્રોજેક્ટ અટકે અને બિલ્ડર વાયદા મુજબ ફ્લૅટનો કબજો નહીં આપી શકે તો અમારી બૅન્ક સામેથી લોનનાં તમે ચૂકવેલાં નાણાં પરત કરી દેશે એટલે કે ગ્રાહકે વિના કારણે લોનના પૈસા ચૂકવવા નહીં પડે.