26 August, 2026 03:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પીઆર શ્રીજેશ
નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમમાં આયોજિત હૉકી વર્લ્ડ કપમાં ભારતની પુરુષ અને મહિલા ટીમ સેમી-ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી. ભારતની બન્ને ટીમ હવે ટૉપ ફોર સિવાયના ક્રમ માટે ઔપચારિક મૅચો રમીને ઘરે પરત ફરશે. ભારતીય મેન્સ ટીમ છેલ્લે ૫૧ વર્ષથી ટૉપ ફોરમાં પહોંચી શકી નથી. ૧૯૭૧માં ભારતે બ્રૉન્ઝ મેડલ, ૧૯૭૩માં સિલ્વર મેડલ અને ૧૯૭૫માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિમેન્સ ટીમ છેલ્લે ૧૯૭૪ની પહેલી સીઝનમાં જ ચોથા ક્રમે રહી હતી. ભારતીય ટીમોની નિષ્ફળતા પછી ભૂતપૂર્વ ગોલકીપર પી.આર. શ્રીજેશે ભારતીય હૉકી મૅનેજમેન્ટની ટીકા કરી હતી. તેણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું કે ‘ચિંતા કરશો નહીં, વર્લ્ડ કપ ખરેખર મહત્ત્વનો નથી, એશિયન ગેમ્સ આવી રહી છે, ત્યાં મેડલ જીતીશું અને પછી આપણે લૉસ ઍન્જલસ 2028 વિશે સ્વપ્ન જોઈ શકીએ છીએ... આવાં બહાનાં આપીને આપણને વર્લ્ડ કપમાં જે કંઈ ખોટું થયું એ ભૂલી જવા બહાનું આપવામાં આવશે.’ શ્રીજેશે વધુમાં લખ્યું કે ‘મહિલા ટીમના મુખ્ય કોચ વર્લ્ડ કપ પહેલાં રજા પર હતા છતાં છોકરીઓ પોતાનું હૃદય ખોલીને રમી અને અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું. એનું શ્રેય ખેલાડીઓને જાય છે, પરંતુ જવાબદારી ક્યાં છે? શું આપણે ખરેખર એવી અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે મુખ્ય કોચ તૈયારીના અંતિમ તબક્કા દરમ્યાન પણ હાજર ન હોય ત્યારે ટીમ એનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે?’ પી.આર.શ્રીજેશે અંતે લખ્યું કે ‘કોણ મુશ્કેલ પ્રશ્નો પૂછશે? કોણ જવાબદારી સ્વીકારશે? શું કોઈને ખરેખર ચિંતા છે? બહાના આપીને પાછળ છુપાઈ રહેવાનું બંધ કરો.’
મેન્સ હૉકી વર્લ્ડ કપમાં ૨૮ ઑગસ્ટે નેધરલૅન્ડ્સ-સ્પેન વચ્ચે, ૨૯ ઑગસ્ટે જર્મની-આર્જેન્ટિના વચ્ચે સેમી-ફાઇનલ રમાશે. ભારતીય મેન્સ ટીમ ૨૮ ઑગસ્ટે બેલ્જિયમ સામે સાતમા/આઠમા ક્રમ માટેની મૅચ રમશે.
વિમેન્સ હૉકી વર્લ્ડ કપમાં ૨૭ ઑગસ્ટે યજમાન દેશો નેધરલૅન્ડ્સ-બેલ્જિયમ વચ્ચે અને ૨૮ ઑગસ્ટે આર્જેન્ટિના-ઑસ્ટ્રેલિયા વચ્ચે સેમી-ફાઇનલ રમાશે. ૨૭ ઑગસ્ટે ભારતીય વિમેન્સ ટીમ જર્મની સામે પાંચમા/છઠ્ઠા ક્રમ માટેની મૅચ રમશે.