13 May, 2021 02:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ ટેબલ ટેનિસ ખેલાડી વી. ચંદ્રશેખર
અર્જુન અવૉર્ડવિજેતા ભૂતપૂર્વ ટેબલ ટેનિસ ખેલાડી વી. ચંદ્રશેખરનું ગઈ કાલે ચેન્નઈની પ્રાઇવેટ હૉસ્પિટલમાં કોરોનાને કારણે નિધન થયું હતું. તેઓ ચંદ્રાના નામે જાણીતા હતા. તેઓ ત્રણ વખત નૅશનલ ચૅમ્પિયન રહ્યા હતા તેમ જ ચેન્નઈમાં આવેલી તમીઝાગા ટેબલ ટેનિસ અસોસિએશનના અધ્યક્ષ અને એસડીએટી-મેડીમિક્સ ટીટી ઍકૅડૅમીના ડિરેક્ટર અને હેડ કોચ હતા. ચેન્નઈમાં જન્મેલા આ ખેલાડી ૧૯૮૨ની કૉમનવેલ્થ ગેમ્સની સેમી ફાઇનલમાં પહોંચયા હતા. તેઓ એક સફળ કોચ પણ રહ્યા હતા. તેઓ ૬૪ વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની તથા પુત્રનો સમાવેશ છે.
૧૯૮૪માં સર્જરી વખતે થયેલી ભૂલને કારણે તેઓ ચાલી શકતા નહોતા તેમ જ દૃષ્ટિ પણ ગુમાવી બેઠા હતા. જોકે તેઓ ફરી સાજા થયા અને તેમ જ હૉસ્પિટલ સામે કાનૂની લડત આપીને જીત્યા હતા. ત્યાર બાદ ચંદ્રાએ સારા ખેલાડીઓને માર્ગદર્શન આપવાનું નક્કી કર્યું હતું. વર્તમાન ખેલાડી જી. સાથિયાન અને ભૂતપૂર્વ નૅશનલ ચૅમ્પિયન એસ. રમનના પણ તેઓ કોચ રહી ચૂક્યા છે.