ધોનીની ખોટ કોઈ ન પૂરી શકે : રાહુલ

26 November, 2020 04:31 PM IST  |  Sydney | ANI

ધોનીની ખોટ કોઈ ન પૂરી શકે : રાહુલ

કે એલ રાહુલ

ભારતના વિકેટકીપર-બૅટ્સમૅન કેએલ રાહુલે કહ્યું હતું કે વિવિધ પરિસ્થિતિમાં વિકેટકીપરે પોતાની ભૂમિકા કઈ રીતે ભજવવી એ ધોની જેવું કોઈ ન કરી શકે. આવતી કાલથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પહેલી વન-ડે રમાવાની છે ત્યારે ધોનીએ ઑગસ્ટ મહિનામાં કરેલી નિવૃત્તિની ઘોષણા બાદ લોકેશ રાહુલ વિકેટકીપર-બૅટ્સમૅનની ભૂમિકા ભજવશે. ગઈ કાલે એક વર્ચ્યુઅલ પ્રેસ-કૉન્ફરન્સમાં રાહુલે કહ્યું હતું કે ‘ધોનીનું સ્થાન કોઈ ન પૂરી શકે. વિકેટકીપર-બૅટ્સમૅને પોતાની ભૂમિકા કઈ રીતે ભજવવી એ વિશે ધોનીએ શીખવ્યું હતું. હું પણ સ્પિનરોને અલગ-અલગ પિચ પર કઈ લેન્થ પર બોલિંગ નાખવી એ શીખવીશ. ન્યુ ઝીલૅન્ડમાં રમાયેલી સિરીઝમાં આ કામ મેં કર્યું હતું.’
તાજેતરમાં પૂર્ણ થયેલી આઇપીએલમાં રાહુલે સારું ફૉર્મ બતાવ્યું હતું. તેણે કહ્યું હતું કે મારી બૅટિંગ પાવર-હીટિંગ નથી, પરંતુ મને મળેલી જવાબદારીને પૂરી કરવાનો પ્રયાસ હું કરું છું. તમે જેમ-જેમ અનુભવી બનતા જાઓ તેમ-તેમ તમારે વધુ સારા બનવાનું હોય છે. રોહિત શર્માની ગેરહાજરીમાં રાહુલને ભારતનો વાઇસ-કૅપ્ટન પણ બનાવાયો છે. આગામી ત્રણ વર્ષમાં ભારત ત્રણ વર્લ્ડ કપ રમશે, જેમાં બે ટી૨૦ અને એક વન-ડે વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. રાહુલે કહ્યું હતું કે ‘ટીમ બહુ આગળનું નથી વિચારતી. અમે માત્ર હાલની પરિસ્થિતિનો જ વિચાર કરીએ છીએ. મારી વાત કરું તો આ ત્રણ વર્ષ દરમ્યાન રમાનારી આઇસીસીની ત્રણેય ટુર્નામેન્ટમાં વિકેટકીપિંગ કરવાનું મને ગમશે.’

ms dhoni kl rahul