આજથી ફાઇનલ, વરસાદની શક્યતા, મુંબઈ ૪૨મા, મધ્ય પ્રદેશ પ્રથમ ટાઇટલની તલાશમાં

22 June, 2022 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોરમાં મેઘરાજા પરેશાન નહીં કરે તો આજે શરૂ થતી પાંચ દિવસીય રણજી ટ્રોફી ફાઇનલમાં  તીવ્ર રસાકસી જોવા મળી શકે

પ્રતીકાત્મક તસવીર

બૅન્ગલોરમાં મેઘરાજા પરેશાન નહીં કરે તો આજે શરૂ થતી પાંચ દિવસીય રણજી ટ્રોફી ફાઇનલમાં  તીવ્ર રસાકસી જોવા મળી શકે. મુંબઈ ૪૨મા ટાઇટલની ખોજમાં છે, જ્યારે અગાઉ હોળકર તરીકે ઓળખાતી મધ્ય પ્રદેશની ટીમ પહેલા ટાઇટલની તલાશમાં છે.
ડોમેસ્ટિક ક્રિકેટનો લેજન્ડ કહેવાતો અમોલ મુઝુમદાર મુંબઈની ટીમનો કોચ છે અને ડોમેસ્ટિકમાં મુંબઈ વતી અને પછી મધ્ય પ્રદેશ વતી રમી ચૂકેલા ચંદ્રકાન્ત પંડિત મધ્ય પ્રદેશના કોચ છે. 
બન્ને ભૂતપૂર્વ ક્રિકેટરો 
સદ્ગત રમાકાન્ત આચરેકરના શિષ્ય છે. મુંબઈના એક ક્રિકેટરે બહુ સરસ કહ્યું છે, ‘ફાઇનલમાં કોઈ પણ ટીમ જીતશે, વિજય તો શિવાજી પાર્કનો જ કહેવાશે.’
મુંબઈના અગાઉના ટાઇટલ 
સમયના ખેલાડી ધવલ કુલકર્ણીને બાદ કરતાં મુંબઈની વર્તમાન ટીમનો બીજા કોઈ 
ખેલાડીને રણજીના વિજેતાપદનો અનુભવ નથી. એ જ પ્રમાણે કોચ ચંદ્રકાન્ત પંડિતને બાદ કરતાં મધ્ય પ્રદેશની ટીમ સાથે સંકળાયેલો બીજો કોઈ પણ ખેલાડી હજી સુધી રણજી-ફાઇનલ નથી રમ્યો. છેલ્લે ૨૩ વર્ષ પહેલાં (૧૯૯૯માં) મધ્ય પ્રદેશની ટીમ ફાઇનલમાં પહોંચેલી ત્યારે પંડિત એ ટીમના કૅપ્ટન હતા.
કોણ કેવી રીતે
ફાઇનલમાં?
મુંબઈની ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં ઉત્તરાખંડને ૭૨૫ રનથી અને સેમી ફાઇનલમાં ઉત્તર પ્રદેશને પહેલા દાવની સરસાઈના આધારે હરાવીને ફાઇનલમાં પહોંચી છે. મધ્ય પ્રદેશનો ક્વૉર્ટરમાં પંજાબ સામે ૧૦ વિકેટે અને સેમી ફાઇનલમાં બેંગાલ સામે ૧૭૪ રનથી વિજય થયો હતો.
બૅન્ગલોરની પિચ કેવી છે?
વરસાદની શરૂ થયેલી મોસમ વચ્ચે બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમના પિચ-ક્યુરેટર અને માળીઓ માટે મેદાનની પિચ તૈયાર કરવાનું કામ પડકારરૂપ બન્યું છે. રવિવારે આ જ મેદાન પર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની નિર્ણાયક ટી૨૦ વરસાદને કારણે રદ થઈ હતી. પિચ પર ઘાસ ઘણું છે અને બોલર્સને સારા બાઉન્સ મળશે. પિચમાં ભેજ પણ ઘણો હશે.
બન્ને ટીમની સંભવિત ઇલેવન
મુંબઈ ઃ પૃથ્વી શૉ (કૅપ્ટન), હાર્દિક તામોરે (વિકેટકીપર), યશસ્વી જૈસવાલ, અરમાન જાફર, સુવેદ પારકર, સરફરાઝ ખાન, શમ્સ મુલાની, ધવલ કુલકર્ણી, તનુષ કોટિયન, મોહિત અવસ્થી અને તુષાર દેશપાંડે.
મધ્ય પ્રદેશ ઃ આદિત્ય શ્રીવાસ્તવ (કૅપ્ટન), હિમાંશુ મંત્રી (વિકેટકીપર), યશ દુબે, શુભમ શર્મા, રજત પાટીદાર, અક્ષત રઘુવંશી, સારાંશ જૈન, અનુભવ અગરવાલ, ગૌરવ યાદવ/કુલદીપ સૈન, કુમાર કાર્તિકેય અને પુનીત દાતે.

મધ્ય પ્રદેશની ભૂતપૂર્વ ‘હોળકર’ ટીમ ચાર વાર ચૅમ્પિયન બની હતી

નવાનગર (અત્યારનું જામનગર)ના મહારાજા અને મહાન ક્રિકેટર કે. એસ. રણજિતસિંહજીના નામે ૮૮ વર્ષથી (૧૯૩૪ની સાલથી) રમાતી રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધામાં ૧૯૪૧માં પહેલી વાર હોળકર નામની ટીમ પ્રવેશી હતી. હોળકર ટીમ ચાર વખત (૧૯૪૫-’૪૬, ૧૯૪૭-’૪૮, ૧૯૫૦-’૫૧ અને ૧૯૫૨-’૫૩) રણજી ચૅમ્પિયન બની હતી. હોળકર નામ મરાઠા સામ્રાજ્ય દરમ્યાનના રાજા યશવંતરાવ હોળકર-બીજાના નામ પરથી પડ્યું હતું. હોળકર અને પછી મધ્ય પ્રદેશ વતી રણજીમાં રમી ચૂકેલા તેમ જ અન્ય રાજ્યોમાંથી આવીને મધ્ય પ્રદેશ વતી રમેલા જાણીતા ખેલાડીઓમાં સી. કે. નાયુડુ, સી. એસ. નાયુડુ, સૈયદ મુશ્તાક અલી, ચંદુ સરવટે, નરેન્દ્ર હિરવાણી તથા તેમના પુત્ર મિહિર હિરવાણી, રાજેશ ચૌહાણ, નમન ઓઝા, અમય ખુરસિયા, ખંડુ રાંગણેકર, ચંદ્રકાન્ત પંડિત, જયપ્રકાશ યાદવ, ભાઉસાહેબ નિમ્બાળકર, દેવેન્દ્ર બુંદેલા, વેન્કટેશ ઐયર, ઈશ્વર પાંડે અને જલજ સક્સેનાનો સમાવેશ છે.

ranji trophy sports news