25 April, 2026 03:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંજાબ કિંગ્સ, દિલ્હી કૅપિટલ્સ
IPLની ૧૯મી સીઝનના સાતમા ડબલ હેડરની પહેલી ટક્કર આજે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આજે સીઝનની ૩૫મી મૅચમાં યજમાન દિલ્હી કૅપિટલ્સનો સામનો સીઝનની એકમાત્ર અપરાજિત ટીમ પંજાબ કિંગ્સ સામે થશે. શ્રેયસ ઐયરનું પંજાબ ૬ મૅચમાં એક નો-રિઝલ્ટ મૅચ અને પાંચ જીત સાથે પૉઇન્ટ-ટેબલમાં પહેલા ક્રમે છે. અક્ષર પટેલના દિલ્હીને ૬ મૅચમાં ૩ જીત અને ૩ હાર મળી છે. છેલ્લી મૅચમાં આ ટીમને હૈદરાબાદના ૨૪૩ રનના ટાર્ગેટ સામે ૪૭ રનની કારમી હાર મળી હતી.
દિલ્હીની સૌથી મોટી ચિંતા તેમની બૅટિંગ રહી છે. કે.એલ. રાહુલ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ અને સમીર રિઝવી જેવા ખેલાડીઓએ અલગ-અલગ મૅચો યોગદાન આપ્યું છે પરંતુ સામૂહિક રીતે એકસાથે શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહ્યા નથી. બોલિંગ-યુનિટે બૅટિંગ કરતાં સારું પ્રદર્શન કર્યું હોવા છતાં તેમનામાં વિરોધી લાઇન-અપ પર પ્રભુત્વ મેળવવા માટે જરૂરી આક્રમકતા અને તીક્ષ્ણતાનો અભાવ રહ્યો છે. ફીલ્ડિંગની ખામીઓએ તેમના સંઘર્ષને વધુ જટિલ બનાવ્યો છે.
બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગના મોરચે પંજાબની ટીમ દરેક મૅચમાં ઘાતક બની રહી છે. શ્રેયસ ઐયરની આ ટીમ પાંચ દિવસના બ્રેક બાદ ફરી મેદાન પર તરખાટ મચાવવા ઊતરશે.
અરુણ જેટલી સ્ટેડિયમમાં પંજાબની ટીમને ૧૨ મૅચમાં ૬ જીત અને ૬ હાર મળી છે. આ તમામ મૅચ તેઓ હોમ-ટીમ દિલ્હી સામે જ રમ્યા છે. દિલ્હીની ટીમ પોતાના આ હોમગ્રાઉન્ડ પર ૯૨માંથી ૪૧ મૅચ જીતી છે અને ૫૦ મૅચમાં એને હાર મળી છે. છેલ્લી સીઝનની પંજાબ સામેની જ એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. વર્તમાન સીઝનમાં દિલ્હી અહીં બે મૅચ રમ્યું છે એમાંથી મુંબઈ સામે ૬ વિકેટથી જીત અને ગુજરાત સામે ૧ રનથી હાર મળી હતી