13 January, 2020 12:26 PM IST | Mumbai Desk
સર્જરીને કારણે કેટલાક સમયથી ટીમ ઇન્ડિયાથી બહાર રહેનાર ઑલરાઉન્ડર પ્લેયર હાર્દિક પંડ્યા ન્યુ ઝીલૅન્ડ સામેની ટી૨૦ સિરીઝમાં કમબૅક કરવાના સમાચાર આવ્યા હતા, પણ તેના ચાહકોનાં મન ત્યારે દુભાયાં જ્યારે હાર્દિકની ફિટનેસ-ટેસ્ટમાં ફેલ થવાના સમાચાર આવ્યા. જોકે આ સમાચાર બાદ તેના ટ્રેઇનર એસ. રજનીકાંતે આ વાતને રદિયો આપ્યો હતો.
હાર્દિકની ફિટનેસ-ટેસ્ટ વિશે વાત કરતાં એસ. રજનીકાંતે કહ્યું કે ‘હાર્દિક ૧૦૦ ટકા ફિટ છે અને એમાં કોઈ શંકા નથી. હું નથી ઇચ્છતો કે તે સતત ઇન્ટરનૅશનલ મૅચનું પ્રેશર પોતાના પર લે. પંડ્યા માટે અત્યાર સુધી કોઈ ફિટનેસ-ટેસ્ટનું આયોજન નથી કરાયું એટલે તે ફિટનેસ-ટેસ્ટમાં ફેલ થવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી.’
ફિટનેસ-ટેસ્ટમાં ફેલ થવાને લીધે હાર્દિકને ઇન્ડિયા-એ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને એ સંદર્ભે વાત કરતાં એસ. રજનીકાંતે કહ્યું કે ‘હાર્દિક ફિટ નથી એટલે તેને ટીમમાંથી બહાર કરાયો છે એવું નથી. તેણે યો-યો ટેસ્ટ આપી છે અને એમાં ૨૦ પૉઇન્ટ્સ સ્કોર કર્યા છે. મેં તેને બહાર રાખ્યો છે માત્ર તેની બોલિંગને કારણે. જોકે એ દિશામાં કામ ચાલી રહ્યું છે.’