મધ્ય પ્રદેશનાં આ બે મંદિરોમાં ૧૧ ઑગસ્ટે સ્વતંત્રતાદિવસ ઊજવાઈ ગયો

15 August, 2026 02:55 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

અહીં દર વર્ષે અલગ-અલગ તારીખે આઝાદીનો ઉત્સવ મનાવાય છે

બન્ને મંદિરો દર વર્ષે ઉત્તર ભારતીય પંચાગ અનુસાર શ્રાવણ વદ ચૌદસે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે

આખો દેશ આજે આઝાદીનો ઉત્સવ ઊજવશે, પણ મધ્ય પ્રદેશનાં બે મંદિરોએ ૪ દિવસ પહેલાં એટલે કે ૧૧ ઑગસ્ટે સ્વતંત્રતા દિવસ મનાવીને રાષ્ટ્રધ્વજ ફરકાવી લીધો. આવું કંઈ પહેલી વાર નથી થયું, જ્યારથી ભારત સ્વતંત્ર થયું ત્યારથી આ બે મંદિરોમાં અલગ દિવસે સ્વતંત્રતાદિવસ મનાવાય છે. આ બે મંદિરો છે મંદસૌરનું પશુપતિનાથ મંદિર અને ઉજ્જૈનનું બડે ગણેશ મંદિર.

સવાલ એ થઈ શકે કે જો આઝાદી આપણને ૧૫ ઑગસ્ટે મળેલી તો આ બે મંદિરો કેમ ૧૧ ઑગસ્ટે ઉત્સવ ઊજવે છે? આ સવાલનો જવાબ આપતાં પહેલાં હજી એક વધુ ચોંકાવનારી વાત એ છે કે અહીં દર વર્ષે અલગ-અલગ તારીખે આઝાદીનો ઉત્સવ મનાવાય છે. આખો દેશ અંગ્રેજી કૅલેન્ડરની તારીખ મુજબ ૧૫ ઑગસ્ટની ઉજવણી કરે છે, પરંતુ આ મંદિરો હિન્દુ પંચાગ અનુસાર સ્વતંત્રતાદિવસ ઊજવે છે. ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટે ભારત જ્યારે બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયું ત્યારે ઉત્તર ભારતીય હિન્દુ પંચાગ મુજબ શ્રાવણ વદ ચૌદસ હતી. એ જ કારણ છે કે બન્ને મંદિરો દર વર્ષે ઉત્તર ભારતીય પંચાગ અનુસાર શ્રાવણ વદ ચૌદસે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. આ વર્ષે ૧૧ ઑગસ્ટે આ તિથિ હતી એટલે ૪ દિવસ પહેલાં જ ઉત્સવ ઊજવાઈ ગયો. આ ઉત્સવમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવલિંગની પૂજા-અભિષેક કરીને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. પશુપતિનાથ મંદિરમાં ૧૯૮૫થી આ પરંપરા ચાલે છે. 

independence day madhya pradesh offbeat news national news news