15 August, 2026 02:55 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
બન્ને મંદિરો દર વર્ષે ઉત્તર ભારતીય પંચાગ અનુસાર શ્રાવણ વદ ચૌદસે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે
આખો દેશ આજે આઝાદીનો ઉત્સવ ઊજવશે, પણ મધ્ય પ્રદેશનાં બે મંદિરોએ ૪ દિવસ પહેલાં એટલે કે ૧૧ ઑગસ્ટે સ્વતંત્રતા દિવસ મનાવીને રાષ્ટ્રધ્વજ ફરકાવી લીધો. આવું કંઈ પહેલી વાર નથી થયું, જ્યારથી ભારત સ્વતંત્ર થયું ત્યારથી આ બે મંદિરોમાં અલગ દિવસે સ્વતંત્રતાદિવસ મનાવાય છે. આ બે મંદિરો છે મંદસૌરનું પશુપતિનાથ મંદિર અને ઉજ્જૈનનું બડે ગણેશ મંદિર.
સવાલ એ થઈ શકે કે જો આઝાદી આપણને ૧૫ ઑગસ્ટે મળેલી તો આ બે મંદિરો કેમ ૧૧ ઑગસ્ટે ઉત્સવ ઊજવે છે? આ સવાલનો જવાબ આપતાં પહેલાં હજી એક વધુ ચોંકાવનારી વાત એ છે કે અહીં દર વર્ષે અલગ-અલગ તારીખે આઝાદીનો ઉત્સવ મનાવાય છે. આખો દેશ અંગ્રેજી કૅલેન્ડરની તારીખ મુજબ ૧૫ ઑગસ્ટની ઉજવણી કરે છે, પરંતુ આ મંદિરો હિન્દુ પંચાગ અનુસાર સ્વતંત્રતાદિવસ ઊજવે છે. ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટે ભારત જ્યારે બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયું ત્યારે ઉત્તર ભારતીય હિન્દુ પંચાગ મુજબ શ્રાવણ વદ ચૌદસ હતી. એ જ કારણ છે કે બન્ને મંદિરો દર વર્ષે ઉત્તર ભારતીય પંચાગ અનુસાર શ્રાવણ વદ ચૌદસે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. આ વર્ષે ૧૧ ઑગસ્ટે આ તિથિ હતી એટલે ૪ દિવસ પહેલાં જ ઉત્સવ ઊજવાઈ ગયો. આ ઉત્સવમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવલિંગની પૂજા-અભિષેક કરીને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. પશુપતિનાથ મંદિરમાં ૧૯૮૫થી આ પરંપરા ચાલે છે.