26 December, 2023 11:01 AM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
રાંચી-જમશેદપુર રોડની તૈમારા ખીણ
રાંચી-જમશેદપુર રોડની તૈમારા ખીણ એક રહસ્યમય ઘટનાને લઈને આજકાલ ચર્ચામાં છે. ચર્ચાનું કારણ પણ ચોંકાવી દેનારું છે. રાંચી-જમશેદપુર રોડની તૈમારા ખીણને પાર કરતી વખતે મોબાઇલનો ટાઇમ ઝોન અચાનક બદલાઈ જાય છે અને તમને તમારા મોબાઇલમાં હાલના ૨૦૨૩ને બદલે ૨૦૨૫નું વર્ષ જોવા મળશે.
આ સ્થળે જ્યારે લોકોએ પોતાનો મોબાઇલ તપાસ્યો ત્યારે તેમણે જોયું કે તેમના મોબાઇલનો ટાઇમ ઝોન બદલાઈ ગયો હતો અને વૉટ્સઍપ પર તારીખની સેટિંગનો મેસેજ આવ્યો હતો. સ્થાનિક લોકોએ આ સંદર્ભે કહ્યું કે અહીં અવારનવાર આવું જોવા મળે છે. અહીંથી પસાર થતા લોકોના મોબાઇલની ઘડિયાળ પરનો સમય માત્ર એક-બે સેકન્ડનો ડિફરન્સ બતાવે એવું નથી, પરંતુ સમય બે વર્ષ આગળ વધી જાય છે. અહી મા કાલી તેમ જ બજરંગબલીનું મંદિર છે. યાત્રીઓ ઘણી વાર આ મંદિર પાસે રોકાય છે અને પ્રાર્થના કરે છે. ગામના લોકો કહે છે કે અમને અહી વારંવાર સફેદ કપડાંમાં એક મહિલા રસ્તો ક્રૉસ કરતી જોવા મળે છે. પરિણામે જ્યારે વાહનોના ડ્રાઇવર એ મહિલાને બચાવવાનો પ્રયાસ કરે છે અને તેને રોકવાના પ્રયાસરૂપે ઘણા ઍક્સિડન્ટ થાય છે અને પરિણામે થોડાં વર્ષ પહેલાં એક મંદિર બનાવવામાં આવ્યું હતું.
આ સ્થળ રાજધાની રાંચીથી લગભગ ૩૦ કિલોમીટર દૂર છે. ચારમાર્ગીય રસ્તાની બન્ને બાજુએ પર્વત અને ખીણ છે અને મુસાફરી કરતી વખતે પ્રકૃતિની સુંદરતાનો આનંદ લઈ શકાય છે.
મોબાઇલ-વૉચમાં બે વર્ષના જમ્પ સંદર્ભે કેટલાક પર્યાવરણવાદીઓએ એવો તર્ક આપ્યો છે કે એ ભારે ચુંબકીય ક્ષેત્રો અથવા પ્રદેશમાં હાજર રેડિયેશનનું પરિણામ હોઈ શકે છે જે આવા વિક્ષેપનું કારણ બને છે. આ વિશે રાંચી યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના વડા ડૉ. બચારામ ઝાનું કહેવું છે કે તૈમારા ખીણ વિસ્તારમાં ગ્રેનાઇટના પથ્થર જોવા મળે છે જે ચુંબકીય ગુણો ધરાવતો હોવાથી કોઈ ચુંબકીય અસરને લીધે ઘડિયાળનો સમય બદલાઈ જાય છે, પરંતુ આ બાબતે વધુ રિસર્ચની જરૂર છે જેથી સાચી હકીકત જાણી શકાય.