25 December, 2023 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇલૉન મસ્કથી લઈને જાણીતી હસ્તીઓ સહિત લોકોમાં આજે પણ એલિયન્સ ચર્ચાનો વિષય બની ગયો છે. એલિયન્સ હોવાના ઘણા દાવા કરવામાં આવ્યા છે, તો ઘણા લોકો આજે પણ એના અસ્તિત્વ પર સવાલ કરી રહ્યા છે. એલિયન્સને લગતા યુએફઓ અને ઘણી વસ્તુઓ સંતાડવામાં આવી હોવાની વાત પણ સામે આવી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે એલિયન્સ વારંવાર ધરતી પર ચક્કર લગાવતા રહે છે. આમ તો આ એક રહસ્ય જ છે, પણ નાસાના એક વૈજ્ઞાનિકે હાલમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જે જાણીને તમે પણ વિચારવા મજબૂર થઈ જશો. નાસાના ઍમેસ રિસર્ચ સેન્ટરમાં કામ કરતા પ્રતિષ્ઠિત શિક્ષાવિદ કેવિન નુથનું માનવું છે કે ધરતી પર જ મહાસાગરમાં એલિયન્સનું નિવાસસ્થાન છે. તેમનું કહેવું છે કે જો એલિયન્સ ધરતી પર છે તો દરિયાની સપાટી તેમને માટે બેસ્ટ સ્થળ હશે, જ્યાં બેઝ બનાવીને તેઓ આરામથી રહી શકે અને ધરતી પર નજર રાખી શકે. કેવિન નુથે થિયરીઝ ઑફ એવરીથિંગના એક પૉડકાસ્ટમાં કહ્યું છે કે ધરતીનો ૭૫ ટકા હિસ્સો પાણી છે, જેથી આપણે મહાસાગર વિશે વધુ નથી જાણતા અને એથી જ એલિયન્સ માટે એ સંતાવાની સુરક્ષિત જગ્યા છે.