02 October, 2025 03:21 PM IST | Bhopal | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)
ધાર્મિક અને સામાજિક મહત્ત્વ ધરાવતા દશેરાના તહેવાર નિમિત્તે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક અણધારી ઘટના બની છે. આ તહેવારની ઉજવણી દરમિયાન રાવણ દહનની પ્રથા છે, જોકે સામાન્ય રીતે રાવણ દહન સમારોહ મોડી સાંજે યોજાય છે, પરંતુ આ વખતે, બાગ મુઘલિયા ગ્રાઉન્ડ ખાતે દશેરા ઉત્સવ સમિતિ દ્વારા તૈયાર કરાયેલા રાવણ, મેઘનાથ અને કુંભકરણના પૂતળાઓમાંથી રાવણના પૂતળાને ગુરુવારે સવારે સૂર્યોદય પહેલા સળગાવી દેવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ કોઈ નશામાં ધુત્ત વ્યક્તિએ કર્યો હોવાનો દાવો છે. આ ઘટનાનો વીડિયો પણ હવે વાયરલ થઈ રહ્યો છે.
વહેલી સવારે રાવણના પૂતળાને સળગાવી દેવામાં આવ્યું
અહેવાલ મુજબ, આ ઘટના સવારે 6 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે કેટલાક નશામાં ધૂત યુવક-યુવતીઓ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા, રાવણના પૂતળાને સળગાવી દીધો અને પછી તરત ત્યાંથી જ ભાગી ગયા હતા. સ્થાનિકો અને દશેરા ઉત્સવ સમિતિના સભ્યો આ અણધારી ઘટનાથી રોષે ભરાયા છે અને આરોપીઓની ધરપકડની માગ કરી રહ્યા છે. જોકે આરોપીઓની હજી ઓળખ સામે આવી નથી.
પ્રત્યક્ષદર્શીઓએ ઘટના અંગે જણાવ્યું
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, એક લાલ રંગની કારમાં આવેલા યુવાનો અને મહિલાઓએ જાણી જોઈને આ તોફાની કૃત્ય કર્યું હતું. વાયરલ વીડિયો અને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓએ રાવણના પૂતળાને સંપૂર્ણપણે બાળી નાખ્યો હતો. આ ઘટનાએ માત્ર સ્થળ પર અંધાધૂંધી જ નહીં પરંતુ દશેરાના પરંપરાગત અને ધાર્મિક મહત્ત્વને પણ અસર કરી છે.
અહીં જુઓ વાયરલ વીડિયો
ધાર્મિક અને સામાજિક સંવાદિતા જાળવો
આ અણધારી ઘટનાએ સમાજમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રત્યે સંવેદનશીલતા જાળવવાના મહત્ત્વ વિશે સંદેશ આપ્યો છે. દશેરા એ અધર્મ પર ધર્મની વિજયનું પ્રતીક છે, અને તેનો સાચો અર્થ તેને શાંતિપૂર્ણ અને પવિત્ર રીતે ઉજવવામાં જ રહેલો છે. લોકોએ આયોજકો અને સ્થાનિક વહીવટીતંત્રને વિનંતી કરી છે કે ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક સંવાદિતા જાળવવા માટે ભવિષ્યમાં આવા તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવે.
આ સાથે ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયો પર પણ લોકોની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. વીડિયો નીચેના કામેન્ટ સેક્શનમાં લોકોએ લખ્યું કે હવે તો રાવણ પણ સુરક્ષિત નથી. આ સાથે અનેક લોકોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે, તો લોકોની ધાર્મિક ભાવનાઓ અને આસ્થા ઠેસ પહોંચાડનાર લોકોને પાઠ ભણાવવા માટે પોલીસના સત્તાવાર એકાઉન્ટને પણ ટેગ કરી રહ્યા છે.