28 July, 2025 03:17 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
આવકના પ્રમાણપત્ર
મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં નયાગાંવના રહેવાસી ૪૫ વર્ષના ખેડૂત રામસ્વરૂપના આવકના પ્રમાણપત્રમાં વાર્ષિક આવક ફક્ત ત્રણ રૂપિયા નોંધાઈ હતી, એટલે કે સરેરાશ માસિક આવક ફક્ત પચીસ પૈસા છે. ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સે તેને ભારતનો સૌથી ગરીબ માણસ ગણાવ્યો હતો. આ પ્રમાણપત્ર જાહેર થતાં જ એ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયું હતું. રામસ્વરૂપે આવક પ્રમાણપત્ર બનાવવા માટે અરજી કરી હતી. બાવીસમી જુલાઈએ આપવામાં આવેલા આ પ્રમાણપત્ર પર સતનાના તહસીલદાર સૌરભ દ્વિવેદીની સહી પણ હતી. જોકે પ્રમાણપત્ર વાઇરલ થયા બાદ સૌરભ દ્વિવેદીએ સ્પષ્ટતા કરીને આને ક્લેરિકલ મિસ્ટેક ગણાવી હતી. ત્યાર બાદ રામસ્વરૂપને એક નવું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું જેમાં તેની વાર્ષિક આવક ૩૦,૦૦૦ રૂપિયા અથવા તો માસિક આવક ૨૫૦૦ રૂપિયા દર્શાવવામાં આવી છે.