29 September, 2025 09:02 AM IST | Assam | Gujarati Mid-day Correspondent
ઝુબીનના મૃત્યુને લઈને બીજા પણ કેટલાક લોકો પર શંકા છે
૧૯ સપ્ટેમ્બરે આસામના લોકપ્રિય સિંગર ઝુબીન ગર્ગનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયા પછી આ મામલો હજી સુલઝી નથી રહ્યો. હવે પરિવારજનોને શંકા છે કે ઝુબીનની એ નૅચરલ ડેથ નથી, એની પાછળ કોઈકની સાઝિશ હોઈ શકે છે. એ માટે પરિવારજનોએ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)માં ફરિયાદ નોંધાવી છે. એવું કહેવાઈ રહ્યું છે કે ઝુબીન લાઇફ-જૅકેટ વિના સ્કૂબા ડાઇવિંગ કરી રહ્યો હતો ત્યારે દુર્ઘટના ઘટી હતી. જોકે આ જ વાત હજમ થઈ શકે એવી ન હોવાથી ઝુબીનના મૅનેજર સિદ્ધાર્થ પર સવાલ ઊભા થઈ રહ્યા છે.
આસામના મુખ્ય પ્રધાને સિદ્ધાર્થ સરમા સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. આ ફરિયાદ પર ઝુબીનના ચાચા મનોજકુમાર બોરઠાકુર, પત્ની ગરિમા ગર્ગ અને બહેન પાલ્મે બોરઠાકુરે સહી કરી છે. પરિવારે કહ્યું હતું કે અમે ઝુબીનના મોતની પરિસ્થિતિઓની ઊંડી તપાસ થાય એવું ઇચ્છીએ છીએ.
ઍક્ટ્રેસ અને કો-સિંગરની પણ થઈ પૂછપરછ
ઝુબીનના મૃત્યુને લઈને બીજા પણ કેટલાક લોકો પર શંકા છે. સિંગરના મૅનેજર સિદ્ધાર્થ સરમા અને નૉર્થ ઈસ્ટ ફેસ્ટિવલના ઑર્ગેનાઇઝર પર આસામમાં ઑલરેડી ફરિયાદ નોંધાઈ ચૂકી છે. એ પછી યૉટ ટ્રિપ પર હાજર સિંગર શેખર જ્યોતિ ગોસ્વામીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. આસામની ઍક્ટ્રેસ નિશિતા ગોસ્વામી અને કો-સિંગર અમૃતપ્રભાની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
ગાયકની જીવનકથા સ્કૂલના પાઠ્યક્રમમાં સામેલ થશે
આસામના મહાન ગાયક ઝુબીન ગર્ગને સન્માનિત કરતાં આસામ વિદ્યાલયી શિક્ષા પરિષદે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. પરિષદે ઘોષણા કરી છે કે સ્વર્ગીય ગાયકની જીવનકથાને સ્કૂલના ૧૪ ભાષાના પાઠ્યક્રમમાં સામેલ કરવામાં આવશે. આ ઘોષણા ઝુબીનના ઘરેથી કરવામાં આવી હતી.