ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસ કરશે આસામ સરકાર, ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અને ગાયકના મેનેજર સામે FIR દાખલ

20 September, 2025 03:19 PM IST  |  Dispur | Gujarati Mid-day Online Correspondent

Zubeen Garg Death: આસામ સરકાર ગાયક ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસ કરશે; નોર્થઈસ્ટ ફેસ્ટિવલના મુખ્ય આયોજક અને ગાયકના મેનેજર વિરુદ્ધ એફઆઇઆર દાખલ

ઝુબીન ગર્ગ

શુક્રવારે અવસાન પામેલા આસામ (Assam)ના ગાયક ઝુબીન ગર્ગ (Zubeen Garg)નું પોસ્ટમોર્ટમ સિંગાપોર (Singapore)ના અધિકારીઓએ પૂર્ણ કરી લીધું છે અને તેમનો મૃતદેહ શનિવારે નવી દિલ્હી (New Delhi) પહોંચવાની અપેક્ષા છે. આસામ સરકાર (Assam government) ગાયક ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસ કરશે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા (Himanta Biswa Sarma)એ કહ્યું કે, તેમની સરકાર ગાયક ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસ કરશે. નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલ (North East India Festiva)ના આયોજક શ્યામકાનુ મહંતા (Shyamkanu Mahanta) અને ગાયકના મેનેજર સિદ્ધાર્થ શર્મા (Siddhartha Sharma) વિરુદ્ધ મોરીગાંવ (Morigaon) પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

૫૨ વર્ષીય ગાયક ઝુબીન ગર્ગ ૧૯ થી ૨૧ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા વાર્ષિક કાર્યક્રમ નોર્થઈસ્ટ ફેસ્ટિવલ માટે બુધવારે સિંગાપોર પહોંચ્યા હતા અને શનિવારે તેમનું પર્ફોમન્સ થવાનું હતું. આસામ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે, આસામ પોલીસ ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસ કરશે અને મહંતા અને શર્મા બંનેની પૂછપરછ કરવામાં આવશે, તેમજ તેમની અંતિમ ક્ષણોમાં ગાયક સાથે હાજર રહેલા લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે.

આસામના મુખ્યમંત્રીએ એક પોસ્ટમાં કહ્યું કે, એક X પોસ્ટમાં સરમાએ એમ પણ કહ્યું કે તેમણે આસામ પોલીસને તમામ FIR સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ને ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે લખ્યું કે, ‘આપણા પ્રિય ઝુબીન ગર્ગના કમનસીબ અને અકાળ અવસાનના સંદર્ભમાં શ્રી શ્યામકાનુ મહંત અને શ્રી સિદ્ધાર્થ શર્મા વિરુદ્ધ અનેક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મેં @DGPAssamPolice ને બધી એફઆઈઆર સીઆઈડીને ટ્રાન્સફર કરવા અને સંપૂર્ણ તપાસ માટે એકીકૃત કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે.’

એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે ગાયકને તેમના મૃત્યુની આગલી રાત્રે એક પાર્ટીમાં લઈ જવામાં આવ્યા હતા. શુક્રવારે સિંગાપોરમાં ગર્ગનું મૃત્યુ થયું, જ્યારે તેઓ લાઇફ જેકેટ વિના દરિયામાં તરતા હતા.

આસામના મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ, સિંગાપોરના અધિકારીઓએ પણ તેમની તપાસ શરૂ કરી છે. તેમણે કહ્યું કે આસામ સરકાર તપાસ કરશે કે, શું ગાયકને ખોટા ઇરાદાથી આસામથી લઈ જવામાં આવ્યો હતો.

સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ અકસ્માત બાદ ગર્ગનું ૫૨ વર્ષની ઉંમરે અવસાન થયું. તેમને ૨૦ સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં નોર્થ ઇસ્ટ ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરવાનું હતું. પ્રસિદ્ધ ગાયક સિંગાપોરમાં રહેતા કેટલાક આસામી લોકો અને તેમની ટીમના સભ્યો સાથે યાટ પર હતા ત્યારે તેમને તરતા સમયે શ્વાસ લેવામાં તકલીફ અને આંચકી આવવાનો અનુભવ થયો હતો. તેમને CPR આપવામાં આવ્યું હતું અને સિંગાપોર જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં શુક્રવારે બપોરે ૨.૫૦ વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, ગર્ગને સિંગાપોર પોલીસે દરિયામાંથી બહાર કાઢ્યો અને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જોકે, તે બચી શક્યો નહીં.

celebrity death singapore assam central bureau of investigation national news news