જેમણે કારસેવકો પર ગોળીઓ ચલાવી તેઓ હવે ઉપદેશ આપે છે

20 June, 2026 10:35 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

રામભક્તોને ધૈર્ય રાખવાની વિનંતી કરતાં કહ્યું કે ૧૫ દિવસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, અપરાધીને છોડવામાં નહીં આવે : અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાનચોરીના આક્ષેપો સામે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો પલટવાર

ગઈ કાલે અયોધ્યામાં રામલલાની આરતી ઉતારતા યોગી આદિત્યનાથ

અયોધ્યામાં રામ મંદિરમાં થયેલી દાનચોરીના આક્ષેપો વિશે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શુક્રવારે પહેલી વાર પોતાની ચુપકીદી તોડીને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ વિવાદ સામે આવ્યાના ૧૭ દિવસ બાદ પ્રથમ વખત અયોધ્યા પહોંચેલા યોગીએ રામભક્તોને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે ટ્રસ્ટની વિનંતી પર આ મામલે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને તપાસનો આદેશ આપી દેવાયો છે, શ્રદ્ધાળુઓ ૧૫ દિવસ ધૈર્ય રાખે. તેમણે વિપક્ષની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે સત્ય સામે ન આવે ત્યાં સુધી અયોધ્યાને બદનામ કરતી બિનજરૂરી નિવેદનબાજી બંધ થવી જોઈએ.

યોગી આદિત્યનાથે પોતાના ભાષણમાં કહ્યું હતું કે...

૧૫ દિવસની પ્રતીક્ષા કરો : રામભક્તો બિલકુલ ચિંતા ન કરે અને માત્ર ૧૫ દિવસ સુધી ધીરજ રાખે. SITની તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને જે પણ અપરાધી હશે તે બચશે નહીં.

સમાજવાદી પાર્ટી પર પ્રહાર : જેમણે ભૂતકાળમાં રામભક્તો અને કારસેવકો પર ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો હતો અને જય શ્રીરામના નારા લગાવનારાઓ પર લાઠીઓ વરસાવી હતી તેઓ આજે આપણને રામભક્તિનો ઉપદેશ આપી રહ્યા છે.

માફિયાપ્રેમનો ટોણો : જે લોકો માફિયાઓની કબર પર જઈને ફાતિયા પઢતા હતા અને રામભક્તોનું અપમાન કરતા હતા તેમનો આ દંભ અને બેવડું વલણ હવે જનતા સમક્ષ ખુલ્લું પડી ગયું છે.

કૉન્ગ્રેસની બેશરમી : જે કૉન્ગ્રેસે પ્રભુ શ્રીરામનું મંદિર ન બને એ માટે એડી-ચોટીનું જોર લગાવ્યું હતું અને સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપીને શ્રીરામના અસ્તિત્વ પર જ સવાલ ઉઠાવ્યા હતા તે આજે રામભક્તોના અપમાનની વાતો કરી રહી છે.

પુરાવા હોય તો SITને સોંપો : જો કોઈની પાસે આ મામલે કોઈ દસ્તાવેજી પુરાવા હોય તો તેમણે મીડિયામાં નિવેદનબાજી કરીને તપાસને પ્રભાવિત કરવાને બદલે એ પુરાવા સીધા SITને સોંપી દેવા જોઈએ.

અયોધ્યાની મર્યાદા જાળવો : આપણા પૂર્વજોએ પ્રભુ શ્રીરામના પવિત્ર સ્થળને પાછું મેળવવા માટે ૫૦૦ વર્ષ સુધી સંઘર્ષ કર્યો છે એટલે કોઈએ પણ ગેરજવાબદાર ટિપ્પણી કરીને રામભક્તોની ભાવનાઓ દુભાવવી જોઈએ નહીં અને અયોધ્યાની ગરિમા જાળવવી જોઈએ.  

ayodhya ram mandir yogi adityanath special intensive revision sir national news news