28 March, 2026 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
IRCTC દ્વારા રેલવેના નેટવર્ક પર દરરોજ ૧૫ લાખથી વધુ મુસાફરોને ભોજન પીરસવામાં આવે છે, જે એને વિશ્વનાં સૌથી મોટા ઑનબોર્ડ કેટરિંગ ઑપરેશન્સમાંનું એક બનાવે છે.
ગયા અઠવાડિયે પટના-તાતાનગર વંદે ભારતના પ્રવાસીએ ઉઠાવેલી ખરાબ ગુણવત્તાના ફૂડની ફરિયાદ બાદ રેલવે બોર્ડે એક દુર્લભ પ્રકારના કેસમાં બુધવારે એના પોતાના જ નિયંત્રણ હેઠળ આવતી કંપની ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC)ને દંડ ફટકાર્યો હતો. IRCTCને ૧૦ લાખ રૂપિયાનો અને કેટરિંગ કૉન્ટ્રૅક્ટરને ૫૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
બોર્ડે IRCTCને ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ સાથેનો કરાર રદ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. IRCTC આ ઘટનાની તપાસ કરશે અને રેલવેને રિપોર્ટ સુપરત કરશે. રેલવે દ્વારા IRCTCને દંડ ફટકારવાનો આ પહેલો કિસ્સો નથી, પરંતુ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યવાહીનો હેતુ અને એક મજબૂત સંદેશ આપવાનો છે કે એને ખરાબ ખોરાકની ગુણવત્તા માટે જવાબદાર ઠેરવવામાં આવશે.
આ મુદ્દે એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘IRCTC એક સર્વિસ-પ્રોવાઇડર છે અને એ કેટરિંગ કૉન્ટ્રૅક્ટરો પર દંડ લાદીને પોતાની જવાબદારીઓથી હાથ ધોઈ શકતું નથી. મુસાફરોને સારી ગુણવત્તાવાળો અને સ્વચ્છ ખોરાક મળે એની ખાતરી કરવી એની ફરજ છે.’
સામાન્ય રીતે ભૂલ કરનારા કૉન્ટ્રૅક્ટરોને IRCTC દ્વારા આવા કિસ્સામાં નાનો દંડ ફટકારીને છોડી દેવામાં આવે છે.
IRCTC દ્વારા રેલવેના નેટવર્ક પર દરરોજ ૧૫ લાખથી વધુ મુસાફરોને ભોજન પીરસવામાં આવે છે, જે એને વિશ્વનાં સૌથી મોટા ઑનબોર્ડ કેટરિંગ ઑપરેશન્સમાંનું એક બનાવે છે.