13 March, 2021 05:10 PM IST | New Delhi | Agencies
બીજેપીએ નંદીગ્રામની ઘટના માટે ચૂંટણી પંચને પૅનલ રચવા તાકીદ કરી
બીજેપીના પ્રતિનિધિમંડળે ગઈ કાલે ચૂંટણી પંચને મળીને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી પર થયેલા કથિત હુમલા વિશે તપાસ કરવા તાત્કાલિક ધોરણે નિર્દિષ્ટ સમયમર્યાદામાં તપાસ પૂર્ણ કરી રીપોર્ટ આપવા વ્યાવસાયિક તપાસકર્તાઓની પૅનલ ગઠિત કરવા વિનંતી કરી હતી.
નૅશનલ જનરલ સેક્રેટરી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા, સ્વપન દાસગુપ્તા, અનિર્બન ગાંગુલી, ઓમ પાઠક, નીરજ કુમાર અને એસ. બજોરિયાના બનેલા આ પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
બીજેપીએ એવી પણ માગણી કરી હતી કે ચૂંટણી પંચને મળેલો હુમલાનો વિડિયો જાહેર કરવો જોઈએ જેથી સત્ય તથા ઘટનાક્રમ વિશે જાણી શકાય. આ તપાસને કારણે ચૂંટણી પંચ અને વિરોધ પક્ષો પર ટીએમસી દ્વારા લગાવવામાં આવેલા આરોપ વિશે પણ સત્ય ઉજાગર થઈ શકશે.