આયુર્વેદિક સારવારની આસારામની અરજી: સુપ્રીમે જવાબ માગ્યો

05 June, 2021 10:25 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અગાઉ કોવિડ ઇન્ફેક્ટેડ આસારામે એલોપથિક દવાઓ નહીં આપવાનો અનુરોધ કર્યો હતો

આસારામ

સ્ત્રીઓના શારીરિક શોષણના આરોપોને પગલે કારાવાસ ભોગવી રહેલા આસારામની કોરોના ઇન્ફેક્શનમાંથી સાજા થયા પછી હંગામી ધોરણે આયુર્વેદિક સારવારમાં શિફ્ટ કરવાની અરજી પર વિચારણા કરવા સર્વોચ્ચ અદાલત સંમત થઈ હતી. અગાઉ કોવિડ ઇન્ફેક્ટેડ આસારામે એલોપથિક દવાઓ નહીં આપવાનો અનુરોધ કર્યો હતો.

આસારામે અગાઉ રાજસ્થાન વડી અદાલતને આયુર્વેદિક સારવાર માટે હંગામી ધોરણે સજામાં રાહત આપવાની માગણી સાથે અરજી કરી હતી. એ અરજીને રાજસ્થાન વડી અદાલતે રદબાતલ કરી હતી. આયુર્વેદિક સારવાર માટે સજામાં રાહત માટેની અરજી રદબાતલ કરવાના રાજસ્થાન વડી અદાલતના નિર્ણયને આસારામે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. આસારામની પડકાર અરજીના અનુસંધાનમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ બી. આર. ગવઈ અને ન્યાયમૂર્તિ ક્રિષ્નમુરારીએ રાજસ્થાન વડી અદાલતને નોટિસ મોકલી હતી. અદાલતે જણાવ્યું હતું કે  ‘સર્વોચ્ચ અદાલત અરજદારના આરોગ્યની સ્થિતિનું વિશ્લેષણ કરવાનું તબીબી કૌશલ્ય ધરાવતી નથી. તેથી આસારામને હંગામી ધોરણે આયુર્વેદિક સેન્ટરમાં શિફ્ટ કરવા માટે જામીન આપી ન શકાય. આસારામની આયુર્વેદિક સારવાર સંબંધી અરજી બાબતે રાજસ્થાન વડી અદાલતે જવાબ મોકલવાનો રહેશે.’

national news asaram bapu