14 March, 2026 10:54 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
શશિકલાએ જયલલિતાની જન્મજયંતી પર રામનાથપુરમ જિલ્લાના કામુથી ખાતે પાર્ટીના ધ્વજનું અનાવરણ કર્યું હતું
તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતાનાં લાંબા સમયથી સહાયક અને ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (AIADMK)માંથી હાંકી કાઢવામાં આવેલાં વી. કે. શશિકલાએ ગઈ કાલે તેમના નવા રાજકીય પક્ષ ઑલ ઇન્ડિયા પુરાત્ચી થલાઇવર મક્કલ મુનેત્રા કઝઘમ (AIPTMMK)નું નામ જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે પાર્ટીનું પ્રતીક નારિયેળના ઝાડનું ખેતર રહેશે. તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી રાજકીય મેદાનમાં શશિકલાની પાર્ટી પણ ઊતરતાં અનેક હિસ્સેદારો તેમના નસીબ પર નજર રાખી રહ્યા છે.
તેમના એક સમર્થક દ્વારા શરૂ કરાયેલી પાર્ટી સાથે જોડાવાના નિર્ણયનો ઉલ્લેખ કરતાં શશિકલાએ કહ્યું હતું કે ‘હું અમારા નેતા (એમ. જી. રામચંદ્રન) જેવી જ પરિસ્થિતિમાં છું જેઓ એક સમયે એક કાર્યકર દ્વારા શરૂ કરાયેલી પાર્ટીમાં જોડાયા હતા. પક્ષનું પ્રતીક એકતાનું પ્રતિનિધિત્વ કરે છે અને સંગઠન સંયુક્ત પરિવારની જેમ કાર્ય કરશે. પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીમાં તામિલનાડુ અને પૉન્ડિચેરીમાં ઉમેદવારો ઊભા રાખશે.’
શશિકલાએ જયલલિતાની જન્મજયંતી પર રામનાથપુરમ જિલ્લાના કામુથી ખાતે પાર્ટીના ધ્વજનું અનાવરણ કર્યું હતું. ધ્વજમાં કાળા, સફેદ અને લાલ રંગો છે જેમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો સી. એન.અન્નાદુરાઈ, એમ. જી. રામચંદ્રન (MGR) અને જયલલિતાનાં ચિત્રો કેન્દ્રમાં છે.