યશવંત સિન્હા બન્યા વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, આ દિવસે કરશે નામાંકન

21 June, 2022 06:25 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

મંગળવારે વિપક્ષની બેઠકમાં ટીએમસીએ યશવંત સિંહાનું નામ આગળ કર્યું, જેને 19 વિપક્ષી દળોનું સમર્થન મળ્યું

યશવંત સિંહા. ફાઇલ તસવીર

દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ થવાની છે, પરંતુ તમામની નજર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો પર છે. આવી સ્થિતિમાં વિપક્ષ તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સિંહા 27 જૂને સવારે 11.30 વાગ્યે ઉમેદવારી નોંધાવશે.

મંગળવારે વિપક્ષની બેઠકમાં ટીએમસીએ યશવંત સિંહાનું નામ આગળ કર્યું, જેને 19 વિપક્ષી દળોનું સમર્થન મળ્યું. બેઠક પહેલા સિન્હાએ ટ્વીટ કર્યું હતું કે “TMCમાં મને જે સન્માન અને પ્રતિષ્ઠા મળી છે તેના માટે હું મમતા બેનર્જીનો આભારી છું.”

તેમણે વધુમાં કહ્યું કે “હવે સમય આવી ગયો છે કે જ્યારે મોટા રાષ્ટ્રીય હેતુ માટે મારે પાર્ટી સિવાય વિપક્ષી એકતા માટે કામ કરવું જોઈએ. મને ખાતરી છે કે પાર્ટી મારા પગલાને સ્વીકારશે.”

મમતા બેનર્જીએ અભિનંદન પાઠવ્યા હતા

સિન્હાને અભિનંદન આપતાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે “આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તમામ પ્રગતિશીલ વિપક્ષી દળોના સંયુક્ત ઉમેદવાર બનાવવા બદલ યશવંત સિંહાજીને અભિનંદન. તે કુશળ વ્યક્તિ છે, જે આપણા રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે તે મૂલ્યોને ચોક્કસપણે જાળવી રાખશે.”

સિંહાએ TMCમાંથી રાજીનામું આપ્યું

મળતી માહિતી મુજબ તૃણમૂલ કૉંગ્રેસના ટોચના નેતાઓએ આ મામલે ચર્ચા કર્યા બાદ સિંહાએ આ પ્રસ્તાવ પર સહમતિ દર્શાવી હતી. યશવંત સિન્હાએ બેઠક પહેલાં એક ટ્વિટમાં મોટા રાષ્ટ્રીય કારણોસર પાર્ટીના કામમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

પવાર-અબ્દુલ્લાએ ઇનકાર કર્યો

શરદ પવાર, ફારૂક અબ્દુલ્લા અને ગોપાલ કૃષ્ણ ગાંધીએ વિપક્ષની ઑફર ઠુકરાવી દીધી છે. મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલ કૃષ્ણ ગાંધીએ સોમવારે રાષ્ટ્રપતિ પદ માટે તેમનું નામ સૂચવવા બદલ વિપક્ષી નેતાઓનો આભાર માન્યો અને ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી. આવી સ્થિતિમાં હવે વિપક્ષે યશવંત સિન્હાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. યશવંત સિંહા બીજેપી છોડીને ટીએમસીમાં જોડાયા.

ફારુક અબ્દુલ્લાએ શું કહ્યું?

અગાઉ વિપક્ષો નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાનું નામ આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ફારુકે એક નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેમનું નામ આગળ લઈ જવા માટે તેઓ મમતા બેનર્જીના આભારી છે અને તેમના સમર્થનનું વચન આપનારા નેતાઓનો પણ આભાર માને છે. એમ કહીને તેમણે ઉમેદવાર બનવાની ના પાડી દીધી હતી.

national news yashwant sinha