14 January, 2024 10:36 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ગાંધી
નવી દિલ્હી ઃ આગામી લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસનાં જનરલ સેક્રેટરી પ્રિયંકા કર્ણાટક અને તેલંગણથી બે બેઠક પર લડવાની સંભાવના છે, એમ એક ન્યુઝ એજન્સીના અહેવાલમાં જણાવાયું છે. આ નિર્ણયથી રાજકીય વિશ્લેષકો અને પક્ષના સમર્થકોમાં એકસમાન ઉત્તેજના અને અટકળોની લહેર જોવા મળી છે. એઆઇસીસીએ સ્થાનિક કૉન્ગ્રેસ એકમને જાણ કર્યા વિના, કર્ણાટકના કોપ્પલ મત વિસ્તારમાં સર્વેક્ષણ કરી જાણી લીધું છે કે ૮ વિધાનસભા સેગમેન્ટમાં ૬ કૉન્ગ્રેસ સાથે છે. કોપ્પલ કર્ણાટકનો સૌથી પછાત જિલ્લામાંનો એક છે. તેલંગણની બીજી બેઠક પરથી પણ પ્રિયંકા ગાંધીને ઊભાં રાખવાનું વિચારાઈ રહ્યું છે. અગાઉ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને પણ ૧૯૭૮માં કર્ણાટકથી ચિકમગલુરુ સંસદીય બેઠક જીત્યાં બાદ રાજકીય પુનર્જન્મ મળ્યો હતો. સોનિયા ગાંધીએ ૧૯૯૯ની ચૂંટણીમાં બેલ્લારી બેઠક પરથી સુષ્મા સ્વરાજને હરાવ્યાં હતાં. આ વિજય સોનિયા ગાંધી માટેના વ્યક્તિગત સ્તરે જ નોંધપાત્ર નહોતો, પરંતુ કર્ણાટકમાં કૉન્ગ્રેસ પાર્ટી પર પણ એની સકારાત્મક અસર થઈ હતી.