04 December, 2022 11:02 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી ઃ ચૂંટણી પંચે સોમવારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા પહેલાં મતદાતાઓને એક વિશેષ અપીલ કરી છે, જેમાં પહેલા તબક્કામાં શહેરી વિસ્તારોમાં મતદાનને લઈને જોવા મળેલી ઉદાસીનતાને દૂર કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘ગુજરાત ચૂંટણીના પહેલા તબક્કામાં સુરત, રાજકોટ અને જામનગરમાં રાજ્યના સરેરાશ ૬૩.૩ ટકાથી ઓછું મતદાન થયું છે. રાજ્યમાં ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં ૬૬.૭૫ ટકા મતદાન થયું હતું.’
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ‘અનેક મતવિસ્તારમાં વોટિંગની ટકાવારી વધી છે, પરંતુ સરેરાશ મતદાનનો આંકડો આ મહત્ત્વપૂર્ણ જિલ્લામાં શહેરી વિસ્તારોના લોકોની ઉદાસીનતાના કારણે ઘટી ગયો હતો. હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી દરમ્યાન પણ શિમલાના શહેરી મતવિસ્તારોમાં સૌથી ઓછું ૬૨.૫૩ ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે રાજ્યમાં સરેરાશ મતદાન ૭૫.૬ ટકા છે. ગુજરાતનાં શહેરોએ ચૂંટણીમાં પહેલી ડિસેમ્બરે મતદાન દરમ્યાન જે પ્રકારની ઉદાસીનતા બતાવી છે એના લીધે જ મતદાનની ટકાવારી ઘટી ગઈ છે.’