29 August, 2023 09:39 AM IST | Nuh | Gujarati Mid-day Correspondent
નલ્હારમાં આવેલા મંદિરમાં જળાભિષેક કરતા આગેવાનો (તસવીર : પી.ટી.આઇ.)
હરિયાણાની સરકારે નૂંહમાં સોમવારે ૧૫ જેટલા શ્રદ્ધાળુ અને નેતાઓના જૂથને નલ્હારના શિવમંદિરમાં પૂજા કરવાની મંજૂરી આપી હતી. અહીં સર્વ જાતિય હિન્દુ મહાપંચાયતે શોભાયાત્રા યોજી હતી. જોકે અધિકારીઓ દ્વારા ૩૧ જુલાઈએ થયેલ સાંપ્રદાયિક સંઘર્ષના પગલે અગાઉની યાત્રાને મંજૂરી આપી નહોતી. અહીંના લોકોને પવિત્ર શ્રાવણના સોમવારે પૂજાની અનુમતિ આપવામાં આવી હતી. ગુરુગ્રામ પોલીસના જણાવ્યા પ્રમાણે યાત્રાના આયોજનના પગલે ભારે સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને નૂંહ નજીક કેટલાક દર્શનાર્થીને રોકવામાં આવ્યા છે.
દિલ્હી-ગુરુગ્રામ બૉર્ડર નજીક પાંચ મુખ્ય ચેક પૉઇન્ટ ગોઠવાયા છે, જેમાંથી ત્રીજા પૉઇન્ટ પર મીડિયાવાહનને પણ આગળ વધતું રોકવામાં આવ્યું હતું. અધિકારીઓ મુજબ એક હિન્દુ દર્શનાર્થી અયોધ્યાના જગતગુરુ આચાર્યના વાહનને સોહના નજીક ઘામોર્જ ટોલ પ્લાઝા પર રોકવામાં આવ્યું હતું. આચાર્યએ રિપોર્ટરને જણાવ્યું હતું કે હું અને મારા સમર્થકો નલ્હાર મંદિરે જળાભિષેક કરવા સરયુ નદીનું જળ લઈને આવ્યા હતા. જોકે પોલીસે અમને રોક્યા. તેઓ શનિવારે વિરોધ કરવા ટોલ પ્લાઝા નજીક ભૂખહડતાળ પર બેઠા હતા. નૂંહના ડેપ્યુટી કમિશનર ધીરેન્દ્ર ખડગતાના જણાવ્યા અનુસાર નલ્હાર નજીક શિવમંદિરમાં ૧૫ દર્શનાર્થીઓ અને કેટલાક નેતાઓ જેમણે ભગવા કપડાં પહેર્યાં હતાં તેમને મંજૂરી આપવામાં આવતાં તેમણે અહીં જળાભિષેક પણ કર્યું હતું.