04 November, 2021 02:58 PM IST | Ayodhya | Agency
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પહેલાં રામ-લક્ષ્મણ અને સીતાનો વેશ ભજવનાર કલાકારોની આરતી ઉતારીને સ્વાગત પણ કર્યું હતું.
અયોધ્યામાં ગઈ કાલે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રામપૈડીના ૩૨ ઘાટ ઉપર ૯ લાખ અને અયોધ્યાના બાકીના ભાગમાં ૩ લાખ દીવાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યાં હતાં. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડની નોંધ લેવા માટે ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકાર્ડસના પ્રતિનિધિઓ પણ આવી પહોંચ્યા હતા. દરમ્યાન સરયુ નદીના ઘાટ પર લેસર શૉનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પહેલાં રામ-લક્ષ્મણ અને સીતાનો વેશ ભજવનાર કલાકારોની આરતી ઉતારીને સ્વાગત પણ કર્યું હતું.
પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના શ્રીનગરથી યુએઈના શારજાહ જતી ગો ફર્સ્ટની ફ્લાઇટ માટે તેની ઍરસ્પેસનો ઉપયોગ કરવાની ના પાડી હોવાનું જણાવતાં સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે ઇસ્લામાબાદે તેની ઍરસ્પેસના ઉપયોગ માટે ચિંતા વ્યક્ત કરી હતી. સંબંધિત ભારતીય મંત્રાલય આ બાબતની તપાસ કરી રહ્યું છે.
આ બાબતની જાણ નાગરિક ઉડ્ડયન મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયને કરવામાં આવી છે તથા તેઓ આ બાબતની તપાસ કરી રહ્યાં હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગયા મહિને શ્રીનગરથી શારજાહની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો શુભારંભ કરતાં ભારતની ઓછી કિંમતની ઍરલાઇન ગો ફર્સ્ટ શ્રીનગરથી શારજાહની સીધી ફ્લાઇટ શરૂ કરનાર પ્રથમ ઍરલાઇન બની હતી. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ ગઈ કાલે શ્રીનગર-શારજાહની ફ્લાઇટ માટે પોતાની ઍરસ્પેસનો ઉપયોગ કરવાની ના પાડવાના પાકિસ્તાનના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ કે કમનસીબ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ૨૦૦૯-૧૦માં શ્રીનગર-દુબઈ જતી ઍર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ માટે પણ પાકિસ્તાને આ જ વલણ અપનાવ્યું હતું. ગો ફર્સ્ટ ઍરવેઝની ફ્લાઇટને પોતાની ઍરસ્પેસ વાપરવાની પાકિસ્તાન દ્વારા મંજૂરી આપવામાં આવશે, જે બંને દેશો વચ્ચેના સુધરતા સંબંધોની નિશાની લેખાશે એમ મારું માનવું હતું. જોકે એમ બની શક્યું નથી.
ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને કૉપીમાસ્ટર કહ્યા હતા. સાવંતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગોવા સરકારના બજેટમાંથી રાજ્ય દ્વારા મફત તીર્થયાત્રા કરાવવાની સ્કીમની કૉપી કરીને કેજરીવાલ લોકો સામે રજૂ કરી રહ્યા છે.
પ્રમોદ સાવંતે પત્રકારોને કહ્યું હતું કે મેં અગાઉના બજેટમાં નાગરિકો ધાર્મિક તીર્થોનાં દર્શન કરી શકે તે માટે સ્કીમ જાહેર કરી હતી. તેમાં નોંધણી પણ ચાલુ થઈ ગઈ છે, અરવિંદ કેજરીવાલે એની કૉપી કરી છે.
ઉત્તર પ્રદેશના પ્રધાન આનંદ સ્વરૂપ શુક્લાએ એવું કહ્યું હતું કે સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ મુસ્લિમ મતો મેળવવા માટે ઇસ્લામ ધર્મનો અંગીકાર પણ કરી શકે છે. તેમણે એવો આરોપ પણ મૂક્યો હતો કે અખિલેશને પાકિસ્તાનના આઇએસઆઇ તરફથી આશ્રય મળે છે, ત્યાંથી તેમને આર્થિક મદદ પણ મળતી હોઈ શકે છે.
પ્રધાને કહ્યું હતું કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મુસલમાન દેશો સામે પડકાર ઊભો કર્યો છે. તેમણે એવું પણ કહ્યું હતું કે અખિલેશ ભૂતકાળમાં તેઓ મુસલમાનોને રીઝવવા માટે નમાજ પઢી ચૂક્યા છે અને રોજા પણ રાખી ચૂક્યા છે. મુસ્લિમોના મતો માટે તેઓ ધર્માંતરણ કરીને ઇસ્લામ પણ અંગીકાર કરી શકે છે.
નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એન.આઇ.એ.)ના અધિકારીઓએ બુધવારે બંગાળમાંથી એક આતંકવાદીને ઝડપી પાડ્યો છે. દક્ષિણ બંગાળના ૨૪ પગરણા જિલ્લામાંથી પકડાયેલો આ આતંકી જમાત-ઉલ-મુજાહિદ્દીન બંગલા દેશ માટે કામ કરતો હતો. તેની પાસેથી અનેક બનાવટી વોટર આઇડી કાર્ડ અને આધાર કાર્ડ પણ મળી આવ્યાં હતાં. તેને કલકત્તામાં લાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.